10, ફેબ્રુઆરી, 2013
આ ઘટના એટલા માટે યાદ અપાવું છું કે કાલે જ અમૃતસર ખાતે રાવણદહન કાર્યક્રમમાં ટ્રેક ઉપર ઉભેલા લોકો ટ્રેન ઝપટે ચડી જતા મૃત્યુ પામ્યા. ઉપરની તારીખે આવો જ એક અકસ્માત અલાહાબાદનાં કુંભમેળામાં જતા યાત્રિકોમાં થતા ઘસારા ને કારણે રેલવે સ્ટેશન પરનો પુલ તૂટી પડ્યો અને 42 લોકો મૃત્યુ પામ્યા. લગભગ એટલી જ સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા. આવી ઘટના છાશવારે બનતી રહે છે. થોડા દિવસ ઉહાપોહ થાય, પછી બધુ હતું એમ ને એમ.
ક્યારેય તંત્ર આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે દૂરદર્શિતા દાખવતું નથી. શિકાગોમાં એક વખત આગ દુર્ઘટના ઘટી હતી, જેમાં ઘણા માણસો મૃત્યુ પામ્યા. તંત્ર જાગ્યું અને બધા મકાનોની ડિઝાઈન જ બદલાવી નાખી. કાલની ઘટનામાં તંત્ર પોતાની જવાબદારી સ્વીકારશે ? લોકો સમજદારી કેળવશે ? દહન વખતે ટ્રેક પર ઊભું રહેવાની ક્યાં જરૂર છે ? લોકોને એ ખબર નહિ હોય કે આ રેલવે ટ્રેક છે ? આ આજકાલની વાત નથી. મુંબઈની લોકલ ટ્રેનમાં ઘણા વીર બહાદૂરો આવી અમુક હરકતો કરતા હોય છે. કોઈ ઈલેક્ટ્રીક ટ્રેનની ઉપર ચડી જાય અને શોર્ટ લાગી જતા મૃત્યુ પામે. પછી રેલવેને દોષિત કરે. કોઈ ચાલતી ટ્રેનમાં બહાર લટકવાના ધંધા કરે. કોઈ રેલવે ટ્રેક પર કાનમાં ઈયરફોન ભરાવી ચાલ્યા જતા હોય. પછી આવા અકસ્માત થાય એટલે ટ્રેન પર પથ્થરમારો ચાલુ. આ નાની ગાડી નથી. ટ્રેનને અચાનક બ્રેક મારી સજ્જડબમ ઊભી રાખવી મતલબ અંદરના હજારો મુસાફરોના જીવ જોખમમાં મૂકવા. માટે પોતાની જવાબદારી સ્વીકારો.
મૃતાત્માઓને શાંતિ મળે એવી અભ્યર્થના.
- Ravi Kumar Sitapara