અછાંદસ કાવ્ય- “ધડકન”
ધડકન,
એ કોઈ અવાજ નથી,
એ તો જીવંતનો પુરાવો છે.
સ્ટેથોસ્કોપ પર સંભળાય છે ત્યારે
એ માત્ર શરીરની વાત નથી કરતી,
ક્યારેક એ કોઈનું નામ લઈને ધબકે છે.
કોઈની રાહ જોવડાવે,
કોઈને યાદ કરાવે,
અને કોઈ વગર પણ...
ચાલ્યા કરે.
ક્યારેક એ શાંત સરોવર જેવી,
ક્યારેક તોફાને ચડેલા દરિયા જેવી.
પ્રેમમાં વધી જાય છે,
વિરહમાં થંભી જાય છે,
અને એકલતામાં
પોતાની જાતને જ સંભળાય છે.
લોકો કહે છે,
હૃદય પાસે મગજ નથી,
પણ સાચું તો એ છે કે
મગજને જે નથી સમજાતું,
એ બધું જ હૃદયની ધડકન સમજી જાય છે.
આખરે શું છે આ ધડકન?
એ જ તો છે,
જે જીવવા અને
કોઈના માટે જીવવા વચ્ચેનો
ભેદ "સ્વયમ્'ભૂ" ભૂંસી નાખે છે.
અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"