**જીત અને જિંદાદિલી**
હારના ડરને જેણે હસીને ટાળ્યો છે,
એણે જ જિંદગીનો અસલી સ્વાદ માણ્યો છે.
નથી હોતી જીત માત્ર મેદાનના સ્કોરબોર્ડ પર,
જેણે ખુદને જીત્યો, એણે જ સૂરજ ભાળ્યો છે.
જિંદાદિલી એટલે..
પડ્યા પછી પણ ધૂળ ખંખેરીને ઊભા થવું,
અંધારામાં પણ સ્મિતનું એક કિરણ વાવવું.
નસીબના પાના ભલે કોરા રહી જાય ક્યારેક,
પણ પુરુષાર્થના લોહીથી નવો ઇતિહાસ લખવો.
માર્ગમાં કાંટા હશે ને પવન પણ વિરુદ્ધ હશે,
દરેક વળાંક પર એક નવો જ યુદ્ધ હશે.
પણ જેની રગ રગમાં વહે છે જિંદાદિલી,
એના માટે આકાશ પણ સાવ ટૂંકું જ હશે.
યાદ રાખજો...
જીત એ નથી જે દુનિયાને દેખાય છે,
જીત એ છે જે અંદરથી અનુભવાય છે.
થોડા શ્વાસ અને થોડી ઉમંગો ભરી રાખજો,
કારણ કે જિંદાદિલ માણસ જ સાચો વિજેતા "સ્વયમ્'ભૂ" ગણાય છે!
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"
કવિતાનો સારાંશ:- જીવનમાં સફળતા (જીત) મેળવવા માટે મનનું મક્કમ હોવું અને સ્વભાવમાં (જિંદાદિલી) હોવી ખૂબ જરૂરી છે. જ્યારે તમે મુશ્કેલીઓને હસતા મુખે સ્વીકારો છો, ત્યારે અડધી જીત તો ત્યાં જ થઈ જાય છે.