(વળામણાં' પન્નાલાલ પટેલની પ્રથમ નવલકથા છે. 'વળામણાં'ને નવલકથા, લઘુનવલ, લાંબી-ટૂંકી વાર્તા વગેરે સંજ્ઞાઓથી ઓળખાવાઈ છે. આ નવલકથામાં માનવહૃદયના અકળ ભાવોને પાત્રોની ક્રિયાઓ દ્વારા પ્રગટ કરવાની લેખકની કળા નોંધપાત્ર છે.
નવલકથાની નાયિકા ઝમકુ સાસરીમાંથી તિરસ્કારનો ભોગ બનીને પિયરમાં આવે છે પછી સરકારી કામ માટે આવતો તલાટી તેને ભોળવીને લઈ જાય છે. ત્યાંથી પણ ઝમકુ નાસીપાસ થઈને પોતાના પિયરઘરમાં રહેવા માટે અંધારી રાત્રે આવે છે. ત્યારે ઝમકુનો ભાઈ બેચર અને ભાભી તેને ઘરમાં રાખવાની સાફ ના પાડી દે છે. મનોર મુખી આ અસહાય છોકરીને શહેરમાં વેચી આવીને આર્થિક ફાયદો મેળવવા માગે છે. ગામની અંબા સુથારણ પોતાના પિયરપક્ષમાં ઝમકુનું લગ્ન થયેલું હોવાના કારણે પોતાના દીકરા મોતી દ્વારા ઝમકુના ઘરમાં ઝમકુની પાછા ફર્યાની તપાસ કરાવે છે, પણ કંઈ હાથ લાગતું નથી. એ જ રાતે મનોર મુખી ઝમકુને સીમથી દૂર વગડામાં વગડામાં આવેલા એક મહાદેવના મંદિરમાં પૂજારીના આશરે મૂકી આવે છે. ત્રણ ચાર દિવસ સુધી ગામમાં ઝમકુ પાછી ફર્યાની ચર્ચાઓ શમી જાય છે પછી સરકારી કામે જવાનું બહાનું કાઢીને મનોર મુખી ઝમકુને લઈને અમદાવાદ તરફ પ્રયાણ કરે છે. અમદાવાદ જતા પૂર્વે પોતાની મૃત પુત્રી નાથીનાં કપડાં ઝમકુને પહેરાવે છે. એ કપડાંમાં ઝમકુને જોઈને જ મનોર મુખીમાં પિતૃભાવનાં બીજ રોપાય છે. ટ્રેનમાં લોકો પૂછે છે ત્યારે પણ મનોર મુખી ઝમકુને પોતાની દીકરી તરીકે ઓળખાવે છે. અમદાવાદની ધર્મશાળામાં મનોર મુખી સાથે રોકાયેલી ઝમકુ સતત ઘરે જવાની હઠ કરે છે અને રડ્યા કરે છે. મનોર મુખી પોતાના વિસ્તારના પણ અમદાવાદમાં રહેતા અમરસંગની મુલાકાત કરીને તેના દ્વારા ઝમકુને ઠેકાણે પાડી દેવાનું આયોજન કરે છે. કોઈ મુસ્લિમ વ્યક્તિ તેને ખરીદવાના છસો રૂપિયા આપવાનું કહે છે, પરંતુ મનોર મુખીનું મન ઝમકુને એક મુસ્લિમના હાથમાં સોંપતાં પાછું પડે છે. આખરે કોઈ પટેલ સાથે ત્રણસો રૂપિયામાં લગ્ન કરાવી દેવાનું નક્કી થાય છે, પરંતુ અમરસંગ એક રાત માટે ઝમકુને પોતાને ત્યાં મોકલી આપવાનું કહે છે ત્યારે મનોર મુખી અમરસંગ પ્રત્યે નફરતનો ભાવ અનુભવે છે. અમરસંગને લાભ ન મળતાં તે નિરાશ થઈને ચાલ્યો જાય છે.
આ તરફઝમકુ પોતાના ગામ જવાની હઠ પકડે છે. મનોર મુખી માટે પાણી લાવે છે, તેમને ફાળિયું બાંધવા કહે છે. આમ, જાણે કે ઝમકુ તેમની દીકરી હોય એવા વર્તનો કરે છે. આ નાની નાની ક્રિયાઓથી મનોર મુખીને આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલી પોતાની દીકરી નાળી માદ આવે છે, અને નાથી પ્રત્યેનો તેમનો ભાવ ઝમકુ તરફ ઢળવા લાગે છે. મનોમન નિર્ણમ કરીને મનોર મુખી ઝમકુને લઈને રેલવે સ્ટેશન જાય છે. રસ્તામાં ઝમકુ માટે નવો સાડલો ખરીદે છે અને ઝમકુ પણ મનોર મુખીના દીકરા કાળુના બાળકો માટે રમકડાં ખરીદે છે. આમ, બંને વચ્ચેનો પિતા-પુત્રી ભાવ સર્જક ક્રિયાત્મક રીતે સઘન કરતા જાય છે. ગામમાં પ્રવેશતી વખતે તો પોતાની દીકરીને જ ઘરે લઈ આવતા હોય એમ ઝમકુને પાછી એની માને સોંપે છે. એટલું જ નહીં પણ કશાક આર્થિક ફાયદાની રાહ જોતી પોતાની પત્નીના મનમાં પણ નાથીની વાત કરીને ઝમકુ પ્રત્યે વાત્સલ્યભાવ જગાડે છે. એ રાત્રે જ અંબા સુથારણને મળીને મોતી સાથે ઝમકુનું લગ્ન નક્કી કરી દે છે અને વહેલી સવારે લગ્ન લેવાઈ પણ જાય છે. તે દિવસે ભેગા મળેલા સુધારશેના પંગને પણ પોતાની મુખીશાહી જબાનમાં ઠંડું પાડીને પોતાના ખર્ચે જમાડીને વિદાય કરે છે. આમ, નિરાધાર એવી ઝમકુને વેચીને પૈસા કમાવા નીકળેલા મનોર મુખી ઝમકુને પોતાની દીકરીની જેમ પરણાવે એ હૃદય પરિવર્તન લાવે આવી કથા છે.