કારગીલ યુદ્ધ
( ભાગ -૨ )
શ્રીનગરને લેહથી જોડતો એકમાત્ર ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ 1) કારગિલથી પસાર થાય છે. જે વિસ્તારોમાં ઘૂસણખોરી અને લડાઈ થઇ એ 160 કિલોમીટર લાંબો વિસ્તાર પર્વતોની એક હારમાળા જેવો હતો, જ્યાંથી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ 1) ને અવલોકી શકાતું હતું. આ પર્વતોની હારમાળા ઉપર ગોઠવાયેલી લશ્કરી ચોકીઓની સરેરાશ ઊંચાઈ 5,000 મીટર હતી, ઘણી ચોકીઓ તો 5,485 મીટર જેટલી ઊંચાઈ પર હતી. યુદ્ધરેખા નજીકના અને વસ્તી ધરાવતા વિસ્તારોમાં જિલ્લા પાટનગર કારગિલ સિવાય મુશ્કો ખીણ, દ્રાસ, દક્ષિણ-પશ્ચિમ કારગિલ, બટાલિક અને ઉત્તર-પૂર્વ કારગીલનો સમાવેશ થતો હતો.
ઘૂસણખોરી માટે કારગિલ વિસ્તાર પસંદ કરાયો તેને પાછળ કારણ એ હતું કે, ભારતને ભાળ ન પડે એ રીતે આ વિસ્તારની ઘણી ખાલી પડેલી ચોકીઓ પર કબ્જો કરી શકાય એમ હતો. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સુવિધાઓ સાથે, શિખરોની ટોચ પર રક્ષણાત્મક ચોકીઓ ચણીને ગોઠવાયેલ પાકિસ્તાની સૈન્ય રક્ષણાત્મક ભૂમિકામાં હતું, એક કિલ્લા જેવી સંગીન રક્ષણાત્મક સ્થિતિ તેમના પક્ષે હતી. જયારે આ ચોકીઓ ફરીથી કબ્જે કરવા માંગતા ભારતીય સૈન્યએ પર્વતીય યુદ્ધ કરવાનું હતું અને મોટા ગુણોત્તરમાં સૈનિકોની જરૂર પડવાની હતી, ઉત્તુંગ શિખરો અને વિષમ ઠંડી તેમની મુશ્કેલીઓમાં વધારો કરવાની હતી.
પાકિસ્તાની નિયંત્રણ હેઠળના સ્કર્દુથી કારગિલ માત્ર 173 કિમી (107 માઇલ) દૂર છે, જે પાકિસ્તાની લડવૈયાઓને લોજિસ્ટિક અને આર્ટિલરી પૂરા પાડવામાં સક્ષમ હતું. કારગિલને સ્કર્દુ સાથે જોડતો રસ્તો પહેલેથી જ હતો, જે 1949માં બંધ કરવામાં આવ્યો હતો.
ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધ પછી પરિસ્થિતિ ઘણા સમય સુધી શાંત હતી, સામસામેના સશસ્ત્ર સંઘર્ષ પ્રમાણમાં ખુબ ઓછા હતા. આમ છતાં જયારે 1980ના દશકામાં બંને દેશોએ સિઆચેન હિમનદી વિસ્તારમાં કબ્જો મેળવવા તેની આજુબાજુની પર્વતમાળા પર લશ્કરી ચોકીઓ સ્થાપવાનું શરુ કર્યું ત્યારે લશ્કરી અથડામણ થઇ હતી. 1990ના દશકામાં જયારે કાશ્મીરમાં ભાગલાવાદી પ્રવુત્તિઓ થઇ, જેમાંની કેટલીક પાકિસ્તાન પ્રેરિત હતી, ત્યારબાદ 1998માં બંને દેશોએ પરમાણુ પરીક્ષણો કર્યા, આ તમામ પ્રવૃત્તિઓએ બંને દેશો વચ્ચેનો તણાવ વધાર્યો અને યુદ્ધની સંભાવનાઓ વધી. પરિસ્થિતિને સુધારવા બંને દેશોએ 1999માં લાહોર કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં કાશ્મીરની સમસ્યાનો ઉકેલ શાંતિપૂર્ણ અને દ્વિપક્ષીય રીતે લાવવાનું વચન આપ્યું.
1998–1999ના શિયાળા દરમિયાન, પાકિસ્તાની સશસ્ત્ર દળના કેટલાક તત્વો છૂપી રીતે પાકિસ્તાની સૈનિકો અને અર્ધસૈનિક દળોને તાલીમ આપી રહ્યા હતા અને કેટલાકને મુજોહિદ્દીનોના વેશમાં એલઓસી પાર કરાવીને ભારતીય બાજુએ આવેલા પ્રદેશમાં મોકલ્યા હતા. ઘૂસણખોરીના આ ઓપરેશનનું કોડનેમ "ઓપરેશન બદર" હતું, ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ કાશ્મીર અને લદ્દાખ વચ્ચેનું જોડાણ કાપી નાખવાનો હતો, તેમ કરવાથી વિખુટા પડતા ભારતીય દળો સિઆચેનમાંથી પીછેહઠ કરી લે, અને છેવટે ભારતને કાશ્મીરના મુદ્દા પર વાટાઘાટો કરવા દબાવ લાવી શકાય. પાકિસ્તાનનું માનવું એમ પણ હતું કે આ વિસ્તારમાં આવતા કોઈ પણ તણાવ કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવશે, જેનાથી ઝડપી નિવારણ લાવવામાં મદદ મળશે. બીજો ધ્યેય એ પણ હતો કે આનાથી કાશ્મીરના દાયકાઓથી ચાલતા બળવાઓને વેગ મળશે.
પાકિસ્તાની લેફ્ટનન્ટ જનરલ શાહિદ અઝીઝ અને ત્યારબાદ આઈએસઆઈ એનાલિસિસ વિંગના વડાએ પુષ્ટિ કરી છે કે કારગિલ યુદ્ધમાં ભાગ લેનારા પાકિસ્તાનના સૈન્યના નિયમિત સૈનિકો હતા કોઈ મુજાહિદ્દીન નહિ. લેફ્ટનન્ટ જનરલ અઝીઝે જાન્યુઆરી, 2013 માં ધ નેશન દૈનિકમાં છપાયેલા તેમના લેખમાં લખ્યું "ત્યાં કોઈ મુજાહિદ્દીન ન હતા, ઝીલેલા વાયરલેસ સંદેશા કોઈને મૂર્ખ ન બનાવી શક્યા, આપણા સૈનિકો હાથમાં હથિયારો અને દારૂગોળો લઈને વેરાન પર્વતમાળા કબ્જે કરવા ગયા હતા".
( વધુ વાંચો ભાગ - ૩ માં )