શિતળા સાતમ-ટાઢી સાતમ નવું મહાત્મ્ય અને વાર્તા.
શ્રાવણ માસ સુદમાં આવતી સાતમ એટલે શિતળાસાતમ જે કાલે ઉજવાશે. આ સાતમને શિતળા સાતમ કહેવામાં આવે છે. અને શિતળા માતાના મંદિરોમાં પૂજન-અર્ચન કરવામાં આવે છે. સૌભાગ્યવતી બહેનો આ સાતમે ટાઢુ રાંધેલું જમીને શિતળા સાતમનું વ્રત કરે છે બહેનો આ દિવસે શિતળા માતાને કુલેર અને શ્રીફળની પ્રસાદી ધરે છે. તેમજ તેમના સંતાનોના દીઘાર્યુ માટે પુજા-અર્ચના અને પ્રાર્થના કરે છે. આ ઉપરાંત શિતળા માતાના મંદિરે એક દિવસીય મેળો ભરાઈ છે. જેનો પણ ભાવિકો અનેરો આનંદ લુંટે છે. આ સાતમ પટેલોની સાતમ તરીકે પણ ઓળખાય છે.
શ્રાવણ વદ સાતમને દિવસે બહેનો શિતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે પ્રાર્થના કરે છે. વહેલા જાગે છે. સ્વચ્છ સુઘડ થઇ દિ' આખો ટાઢુ ખાય છે. ચૂલા લીપી ગુંપી તેમા આંબો રોપી અગ્નિ મુદલ સળગાવતા નથી શિતળા સાતમ એટલે ટાઢી સાતમ.
આગલે દિ' રાંધણ છઠ્ઠ હતી દેરાણી જેઠાણીએ મધરાત સુધી પુરી શાક થેપલા, પાક, પકવાન, મેવા મીઠાઇ વગેરે જાત જાતની વાનગીઓ રાંધી ખાધી પછી જેઠાણી તો થાકયા પાકયા પોતાને ઘેર જઇ સુઇ ગયા દેરાણી રૂપા ચુલો સળગતો મુકી સુઇ ગઇ.
કહે છે કે, રાત્રે સુમસામ શાંતિમા શિતળા માતા ફરવા નીકળ્યા રૂપાને ઘેર આવીને ચુલામાં આળોટવા જતાં જ આખા ડીલે દાઝયા...શાપ આપ્યો...જેવી મને બાળી છે...એવું જ તારૂ પેટ (છોકરા છૈયા) બળજો...!
રૂપા સવારે જાગી જોયું તો ચુલો ભડભડ બળે, છોકરો પણ દાઝી જતા પથારીમાં મરેલો પડેલો આવી ઉપાધી જોતા તે સમજી ગઇ કે નકકી મને શિતળા માતાનો શાપ લાગ્યો છે ચાલ જાઉ માતાજી પાસે એમ કહીને મરેલો છોકરો ઉપાડીને ચાલી શિતળા માતા પાસે.
રસ્તે ચાલતા એક નાનકડી વાવ જોઇ વાવનું પાણી એવું કે પીધા ભેગુ જ માણસ મરી જાય આ વાવને વાચા થઇ બહેન બહેન ! તું શિતળા માતાને પુછજે કે મારા એવા તે શાં પાપ હશે, કે મારૂ પાણી પીતાજ માણસ કરી મરી જાય છે.
ભલે ! બહેનઃ એમ કહીને રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ મળ્યો તેની ડોકે પથ્થર મોટો ડેરો બાંધેલો ડેરો એવો વજનદાર કે હાલતા ચાલતા પગ સાથે ભટકાયા કરે ને પગ લોહી લોહાણ કરી નાખે.
આ બળદ સાથે વાતચીત થતા બળદે કહ્યું બહેન શિતળા માને મારા પાપનું નિવારણ પુછતા આવજો.
બહુ સારૂ કહી રૂપા તો જંગલમાં બોરડીના ઝાડ પાસે આવી રૂપાને જોતા જ બોરડી નીચે બેઠેલા એક ઘરડા માજી માથુ ખંજવાળતા બોલ્યા. બહેન કયાં ચાલ્યા ?
મા શિતળાને મળવા
મારૂ માથું જોઇ દેેશો ?
હા મા એમાશું ? કહેતાકને રૂપાએ ડોશીનું માથુ એવું જોઇ દીધું કે માને તો હળવુ ફુલ માથુ થતા ઉંઘ આવી ગઇ.
અને આશિર્વાદ દીધો મારૂ માથુ ઠાયૃં એવું તારૂ પેટ ઠરજો ! અને સાથેજ મરી ગયેલો એનો પુત્ર આ આશિર્વાદ મળતા જ સાજો સારો થઇ ગયો.
મા-દિકરો ભેટી પડયા ને ડોશીમાએ શિતળાનુ રૂપ ધરી દર્શન દીધા પછી પેલી વાવને અને બળદના દુઃખ પણ દુર કરાવ્યા...!!
શિતળા માતા સૌનું ભલુ કરો, સૌનુ કલ્યાણ કરો...