"જીવી જવાનું મન થશે..."
ટાઈટલમાં લખેલી લાઈન એ થોડા દિવસ પહેલા જ યુટ્યુબ પર આવેલા એક સોન્ગની છે. આ સોન્ગ અક્ષય વાળંદ અને ગોપાલ પાટોલિયાએ લખ્યું છે. તમે જ્યારે મુસીબતો સામે લડી લડીને થાકી જાવ અને બે ઘડી વિચાર આવે કે બધું મૂકીને ક્યાંક ભાગી જવું છે ત્યારે તમારે ચોક્કસપણે આ ગીત સાંભળવું જોઈએ. ગીતની દરેક લાઈનમાં અનલિમિટેડ પોઝિટીવીટી રહેલી છે. ગીત સાંભળ્યા બાદ તમને ખરેખર જીવી જવાનું મન થશે.
શરીર જ્યારે થાકે છે ત્યારે તેને આરામ જોઈએ છે પણ ઘણી વાર માણસનું મન થાકી જતું હોય છે. મન જ્યારે થાકે છે ત્યારે તેને એક તણખો જોઈતો હોય છે. પોઝિટિવ વિચારનો તણખો. હવે તમને થશે કે આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આવા પોઝિટિવ વિચારો લાવવા ક્યાંથી?? પોઝીટીવ વિચારો માટે સંગીતથી વધારે અસરકારક બીજું કંઈ નથી. પેલું કેહવાય ને કે, મનની શાંતિ માટે હંમેશા સંગીત સાંભળવું જોઈએ. ગીત સાંભળવાથી શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે. મનોવિજ્ઞાન પણ એવું કહે છે કે, "ગીત ન સાંભળનાર લોકોની સરખામણીમાં ગીત સાંભળનાર લોકો વધારે ખુશ હોય છે." ઘણા ગીતના શબ્દો પણ એટલા ધારદાર હોય છે કે સાવ તૂટી ગયેલા માણસને પણ જીવન જીવવા માટે રાજી કરી દેતા હોય છે. જરાક યાદ તો કરો જિંદગી ઉપર લખાયેલા એ ગીતોને. અંદાઝ મુવીનું સોન્ગ "જિંદગી એક સફર હૈ સુહાના ", મિ. ઈન્ડિયા મુવીનું સોન્ગ, "આજ ગમ હૈ તો કલ હૈ ખુશી, જિંદગી કી યહી રીત હૈ હાર કે બાદ હી જીત હૈ" સોતન મુવીનું સોન્ગ કે જેમાં જિંદગીને જ ગીત કહીને સરખાવી છે, "જિંદગી પ્યાર કા ગીત હૈ , ઇસે હર દિલકો ગાના પડેગા." આ દરેક ગીત અને તેનું સંગીત એ મનની શાંતિ માટે ડૉકટરએ લખેલી દવા જેટલા અસરકારક છે.
જીવન છે તો મુસીબતો અને દુઃખ તો રહેવાનું જ છે પણ જો મનને પોઝિટીવીટીનો તણખો આપતાં આવડી જાય તો અહીં દરેક દિવસ તમારો જ છે.અહીં દરેક સવાર એક નવી એનર્જી લઈને આવે છે. દુઃખને ભૂલીને સુખ શોધતા શીખો. ઘણી વાર એક ગીત સાંભળીને આખા દિવસનો થાક ઉતરી જતો હોય છે. એક ગીત તમારા દુઃખને સુખમાં પરિવર્તિત કરી શકે છે. તો તૈયાર છો ને બધા તમારા મનને પોઝિટીવીટીનો તણખો આપવા માટે??
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:
ખારો છે આ દરિયો પણ
એનો પણ કિનારો છે
જિંદગીની જંગમાં તું
એકલો ક્યાં બિચારો છે
તૂટ્યા પેહલા બાંધી લે
છૂટ્યા પેહલા સાંધી લે
એક પળ એવી આવશે જ્યારે
તને જીવી જવાનું મન થશે
- SHIPA PARMAR "SHILU"