વિશ્વ રંગમંચ દિવસ:-
"આ જીંદગી એક નાટક છે અને દુનિયા એક વિશાળ રંગમંચ તથા આપણે સૌ એનાં કલાકારો છીએ."
આ વાક્ય કદાચ આપણાં સૌ માટે સાચું છે. કોઈ નાટક ભજવવામાં સફળ થાય છે તો કોઈ નિષ્ફળ.
આજે "વિશ્વ રંગમંચ દિવસ" છે, જે આખી દુનિયામાં ઉજવાય છે. નાટકો દ્વારા વિશ્વને કોઈ પણ સંદેશો ખૂબ જ સરળતાથી આપી શકાય છે.
ભારતમાં લગભગ તમામ ભાષાઓમાં પ્રાચીનકાળથી જ નાટકો ભજવાતા આવ્યાં છે અને લોકો સુધી પ્રેરણાત્મક સંદેશાઓ પહોંચાડ્યા છે. આ ઉપરાંત માતૃભાષામાં મનોરંજન પૂરું પાડવાનું પણ શ્રેષ્ઠ માધ્યમ નાટકો છે.
આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા ઈ. સ. 1961માં પહેલીવાર 27 માર્ચે આ દિવસ ઉજવાયો હતો. ત્યારથી દર વર્ષે 27 માર્ચ એ "વિશ્વ રંગમંચ દિવસ" તરીકે ઉજવાય છે. આજનાં દિવસે વિશ્વના તમામ રંગમંચ કલાકારોમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંદેશો આપવા માટે. વર્ષ 2002માં આ સંદેશો આપવા માટે ભારતીય રંગમંચનાં સુપ્રસિદ્ધ કલાકાર શ્રી ગિરીશ કર્નાડની પસંદગી કરવામાં આવી હતી.