28 ફેબ્રુઆરી ----- રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે, જે ભારતભરની વૈજ્ઞાનિક સંસ્થાઓ મોટા પાયે ઉજવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિજ્ઞાન પ્રત્યે લોકોને જાગૃત કરવાનો અને વૈજ્ઞાનિકોએ કરેલ શોધોથી સામાન્ય નાગરિકને માહિતગાર કરવાનો છે.
રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી પરિષદ તેમજ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રાલયનાં સંયુક્ત ઉપક્રમે દર વર્ષે 28 ફેબ્રુઆરીના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જ દિવસે ભારતનાં નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક શ્રી સર સી. વી. રામને પોતાની પ્રથમ શોધ 'રામન કિરણો'ની જાહેરાત કરી હતી. એમની આ જ શોધ માટે ઈ. સ. 1930માં એમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેનાં સન્માન સ્વરૂપે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.
યુવાઓને વિજ્ઞાન તરફ આકર્ષિત કરવા તેમજ પ્રોત્સાહિત કરવા વિવિધ રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાઓ જેવી કે વિજ્ઞાન અકાદમીઓ, શાળાઓ, કૉલેજ, અને તાલીમ સંસ્થાઓમાં વિવિધ સ્પર્ધાઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સ્પર્ધાઓમાં મુખ્યત્વે વૈજ્ઞાનિકો વિશેની માહિતી, તેમનાં પર વક્તૃત્વ સ્પર્ધાઓ, નિબંધ લેખન, વૈજ્ઞાનિક પ્રશ્નોત્તરી, વિજ્ઞાન પ્રદર્શન, સેમિનાર અને વિવિધ પરિસંવાદ કાર્યક્રમો છે.
આજનાં દિવસે વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનારનું પુરસ્કાર આપી સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત વિજ્ઞાનની જાગૃતિ વધારવા વિશેષ પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવે છે.
- સ્નેહલ જાની