વેલેન્ટાઈન ડે જ્યારે નજીક આવે છે ત્યારે એક વિચાર આવે છે કે શું પ્રેમનો એકરાર કરવા માટે પણ દિવસ ફાળવવો પડે? સાચો પ્રેમ કોઈ દિવસની રાહમાં બેસી રહીને વ્યકત કરવાની રીત વિચારવાની?
છેલ્લાં એક અઠવાડિયાથી સમાચાર વાંચું છું કે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી - કોઈએ સમાજનાં ડરથી તો કોઈએ બદનામીનાં ડરથી, તો કોઈએ એક ન થઈ શક્યા તો? એ ડરથી.
મેં તો સાંભળ્યું છે કે પ્રેમ તાકાત આપે છે, જીવવાની અને મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આપે છે. સમાજનાં ડરથી આત્મહત્યા કરવાવાળાને પ્રેમ કરવા પહેલા આ વાતની ખબર ન હતી? આ જ પ્રશ્ન બદનામીથી ડરવાવાળા માટે છે. શું બદનામી એ પ્રેમ કરતાં ચડિયાતી છે?
પ્રેમમાં એકબીજા સાથે જીવવાનું હોય, આખું આયખું વિતાવવાનું હોય, નહીં કે સમાજ અને બદનામીનાં ડરથી આત્મહત્યા કરવાની! અન્ય કોઈ સ્થળે બધાથી દૂર રહીને પણ પોતાનો સુખી સંસાર વસાવી જ શકાય છે, કદાચ લગ્ન પહેલાંના સંબંધોને તિલાંજલિ આપવી પડે!
પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેવાથી બેમાંથી કોઈને જ કશું મળતું નથી, ઉપરથી ક્મોતે મરવું પડે છે. આવું પગલું ઉપાડવા કરતાં એકબીજાને યાદ કરીને એકલા જ જીંદગી જીવવી વધુ સારી છે.
આત્મહત્યા એ જ એક માત્ર રસ્તો નથી, હિંમત ભેગી કરીને પોતાનો એક સંસાર પણ વસાવી શકાય છે.
પ્રેમનો એકરાર કરવા માટે 14 ફેબ્રુઆરીની રાહ જોઈને બેસતા સૌને હેપી વેલેન્ટાઈન ડે, એડવાન્સમાં.😊
અને મારા વાચકોને ખાસ વિનંતી કે બંધબેસતી પાઘડી પહેરી મને ખોટી સલાહ આપતાં મેસેજ ન કરે.