નમસ્તે મિત્રો,
રાષ્ટ્રીય યુવા દિનની સૌને શુભેચ્છાઓ.
શું આ દિવસ ખરેખર ઉજવવો જોઈએ? જે શ્રી સ્વામી વિવેકાનંદજીનાં જન્મદિનની ઉજવણી યુવા દિન તરીકે થાય છે એમની વિચારસરણી અનુસરવાવાળા યુવાનો મળે છે આજે? જે સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલ ભાષણ સાંભળીને આખું શિકાગો મોંમાં આંગળા નાખી ગયું હતું એવા પ્રભાવશાળી વાણી પ્રભુત્વવાળા યુવાનો મળે છે આજે? અને જે મળે છે તે સાચા મનથી દેશભક્તિના રંગે રંગાયેલ છે ખરાં? દેશમાં કાયદાનું પાલન કરવામાં કેટલા સમજે છે અને કેટલા એનો વિરોધ કરે છે એ તો આપણે જોઈએ જ છીએ.
વાહનની ગતિ મર્યાદાનું પાલન થતું નથી, ટ્રાફિકના નિયમોનું પાલન થતું નથી, અકસ્માત ગમે તે રીતે થયો હોય વાંક હંમેશા મોટું વાહન જેનું હોય તેનો જ હોય, રસ્તો ગમે તેટલો સારો બનાવ્યો હોય પણ જવાનું તો પોતાને સહેલો પડે એ જ રસ્તે પછી ભલે તે બધાથી ઉલટી દિશા હોય - શું આ જ છે દેશભક્તિ અને કાયદાનું પાલન?
જો પોતાને સરકારી નોકરી મળી જાય તો સરકાર સારી નહીં તો બેધ્યાન જે બેરોજગાર લોકો પર ધ્યાન આપતી નથી. બે સારામાં સારા મિત્રો પણ નજીવી રકમની લડતમાં એકબીજાનું ખૂન કરવા સુધી પહોંચી જાય છે. શું આ જ છે આજનાં યુવાની માનસિકતા? હકીકત જ એ છે કે આજનો યુવા એટલો બધો મહત્વાકાંક્ષી થઈ ગયો છે કે એ પોતાનું માનસિક સંતુલન જાળવી શકતો જ નથી. થોડું પણ પોતાની મરજી વિરૂદ્ધ થાય એટલે મરવા મારવા પર ઉતરી આવે છે.
આજની યુવા પેઢીને એક જ સલાહ કે પહેલાં પોતાને માટે જીવો અને મહત્વકાંક્ષા પોતાની ક્ષમતા મુજબ જ રાખો. સાથે સાથે ખંતપૂર્વક મહેનત કરવાની તૈયારી રાખો, સફળતા મળશે જ. પોતે જ પોતાનાં ઘડવૈયા બનો. બીજા પર આધાર રાખવાને બદલે પોતાને જ એટલાં સક્ષમ બનાવો કે ક્યાં તો તમે કોઈને નોકરી આપી શકો અને ક્યાં તો તમને જેવી નોકરી જોઈએ છે તે સામે ચાલીને મળે.