પથ્થર નહીં પગથિયાં બનીએ!
કોઈના જીવનમાં પથ્થર બનીને નડવા કરતાં, એમની સફળતાં માટે પગથિયાં બનીએ.આ વાક્ય મારા મગજ અને મન ઉપર જોરદાર અસર કરી ગયું છે.સકારાત્મકતાથી ભરપુર વાકય.આખા દિવસ દરમિયાન તમને દસમાંથી આઠ વ્યક્તિઓ નકારાત્મક વલણ ધરાવતી મળે.તેથી શું આપણે પણ નકારાત્મક પ્રવાહમાં વહી જવું? ના જરાય નહીં! મારા મતે તો એ આંઠ માંથી ઓછામાં ઓછાં ચારને તો આપણાં સકારાત્મક વાઈબ્રેશન આપી જ શકીએ. એથી શક્ય હોય એટલું સકારાત્મક જીવન અપનાવીએ. સાદું અને સરળ જીવન જીવીએ.બધી જ પરિસ્થિતિઓ સરળ નથી હોતી. જીવનના ઉતાર ચડાવમાં જિંદગી ઢળતી રહેતી હોય છે. આપણે જિંદગી કઈ રીતે જીવવી એ આપણા ઉપર નિર્ભર કરે છે. દરેક વ્યક્તિના બે પાસાં હોય છે,નકારાત્મક અને સકારાત્મક આપણે સામેના વ્યક્તિમાંથી શું લેવું છે એ આપણી માનસિકતા ઉપર આધાર રાખે છે.
એક તંદુરસ્ત જીવન જીવવા માટે શરીર જ તંદુરસ્ત હોવું જરૂરી નથી. આજના સમયમાં મન પણ એટલું જ તંદુરસ્ત હોવું ઘટે! મારા મતે સકારાત્મક જીવનનું સૌથી અગત્યનું પરિબળ હોય તો એ સામેની વ્યક્તિનો અને પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર. કોઈપણ પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર,એ સ્થિતિનો સામનો હંમેશા બે જ રીતે થતો હસતાં પણ એનો સ્વીકાર કરવો અથવા રડતાં પણ એનો સ્વીકાર કરવો. રડતાં જો સ્વીકારશો તો એ પરિસ્થિતિના અંત સુધી પહોંચતાં માર્ગ અને જીવન બંને ખૂબ અઘરા બની જશે. પરંતુ એ જ પરિસ્થિતિનો હસતાં આવકાર કરવાથી જીવન સુંદર અને સુગંધિત બની જશે. હવે આપણે વિચારવું રહ્યું કે આપણે કઈ રીતે જીવવું છે. મારે તો જીવનના અંત સુધી સસ્મિત જીવવું છે. મને હંમેશા સામેની વ્યક્તિમાં કે પરિસ્થિતિમાં ફક્ત સકારાત્મકતા શોધવાની, જોવાની ટેવ છે. તેથી એવું નથી કે હું નકારાત્મક વિચારો નથી ધરાવતી. ઘણી વખત નકારાત્મક વિચારોમાં દિવસ પસાર થઈ જતો હોય છે. પરંતુ દિવસના અંતે તો મારું હકારાત્મક વલણ જ બધું સ્થાયી કરી દેતું હોય છે. કોઈપણ જીવને પ્રેમ આપવાથી પ્રેમ મળે છે. જીવમાત્ર લાગણીશીલ છે. આ દરેક જીવનું મોટામાં મોટું સકારાત્મક પાસું છે. કોઈપણ ભાવમાં ન વહેતાં કે કોઈના અભાવમાં ન રહેતાં સ્વભાવ બદલવાની જરૂર છે. બીજું બધું આપોઆપ બદલાઈ જશે. દુનિયા ખૂબ રંગીન છે, સર્વ રંગોને અપનાવી પોતાનું જીવન રંગબેરંગી કરીએ. પોતાનું ગમતું કરીએ. જ્યાં સુધી પોતાનો સંપૂર્ણ સ્વીકાર ન કરશો ત્યાં સુધી બીજી કોઈપણ વસ્તુ કે વ્યક્તિ અથવા તો વિચારોનો સ્વીકાર ન જ કરી શકીશું.જે છે એમાં ખુશ રહેતાં જો આવડી જાય તો જ સમજાય કે આપણાં ઉપર ભગવાનની કેટલી કૃપા છે. જેમની પાસે કંઈ જ નથી એમને કોઈ પણ સમય સકારાત્મક કે નકારાત્મકની લાગણી થતી જ નહીં હોય. કારણ એને ખબર જ છે કે એને આજે જે મળ્યું છે તે એના માટે,એના પરિવાર માટે પૂરતું છે. કાલે ફરી મહેનત કરી કામ કરશે, જેનાથી એ અને એનો પરિવાર ખુશ રહી શકે. કારણ, આનાથી સારી પરિસ્થિતિ કદાચ થઈ શકે પરંતુ આનાથી ખરાબ પરિસ્થિતિ તો શું હોવાની!!? અને નિરાંતે ઉંઘી જાય છે. એ પણ ભગવાન ભરોસે જ!
આ બધી મળતાની મામલતદારી છે. જેની પાસે કંઈ જ નથી એ હંમેશા સકારાત્મક જ રહેવાના.
નકારાત્મક વલણના શિકાર થયેલ વ્યક્તિને ખુદ કૃષ્ણ આવીને આખી ગીતા સંભળાવે કે સમજાવે તો પણ કોઈ જ બદલાવ નથી આવતો.નાહક આપણો સમય એમની પાછળ ન બગાડવો એવા વ્યક્તિઓને કૃષ્ણાર્પણ કરવું.જીવનમાં ભવ્યતા લાવવાનું વિચારવા કરતાં ભાવ લાવવાની કોશિશ કરો. જીવન પ્રત્યેનો પ્રતિભાવ આપોઆપ બદલાય જશે!
-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"