જેમ દીવાની જ્યોત જયાં દીવો હોય ત્યાં ઉજાસ ફેલાવે છે તેમ આપણાં સહકારરૂપી જ્યોત કોઈક માટે પ્રેરણા બનવી જોઈએ. એક બાળક માટે સૌથી પહેલી જ્યોત જગાવે છે એનાં માતા પિતા. એનું પાલન પોષણ કરે છે તેમ જ સંસારમાં કેવી રીતે રહેવું તેની સમજ આપે છે. પરંતુ બાળકમાં કયું કૌશલ્ય છુપાયેલું છે એ એનાં શિક્ષકને વધારે જલ્દી ખબર પડી જાય છે. એક વાર બાળકનું કૌશલ્ય ખબર પડ્યા પછી એને તે દિશામાં આગળ વધવા માટે શિક્ષક પ્રેરણારૂપ બનવો જોઈએ. એનાં માર્ગમાં આવતા પ્રશ્નોરૂપી અંધકાર દૂર કરનાર જ્યોત હોવો જોઈએ.
એક શિક્ષક જેટલો કડક સ્વભાવનો હોય એટલો જ મિલનસાર પણ હોય તો વિદ્યાર્થીનાં જીવનની જ્યોત બની એનાં જીવનમાં ઉજાસ ફેલાવી દે છે. કહેવાય છે ને કે દીવાની વાટ પોતે બળી એની જ્યોતથી અન્યના જીવનમાં ઉજાસ ફેલાવે છે, આ જ કાર્ય શિક્ષકનું પણ છે.
કોઈ નિરાશ કે હતાશ વ્યક્તિના જીવનમાં આશાની જ્યોત જગાવનાર એને માટે ભગવાનનું રુપ બની જાય છે. યુદ્ધમાં હારેલા વ્યક્તિની જેટલી હિંમત વધારવાની મહેનત નથી કરવી પડતી એટલી વધુ મહેનત હિંમત હારેલાને ફરીથી આશાની જ્યોત બતાવવામાં કરવી પડે છે.
દીવાસળી આગ પણ લગાડી શકે છે અને દીવો પણ પ્રગટાવી શકે છે. કોના હાથમાં દીવાસળી છે અને તે વ્યક્તિ શું ઈચ્છે છે તેનાં પર આધાર રાખે છે કે આગ લાગશે કે જ્યોત પ્રગટશે!
જો કોઈના જીવનમાં પથદર્શક જ્યોત ન બની શકીએ તો વાંધો નહીં પણ આપણાં લીધે કોઈનું જીવન અંધકારમય તો ન જ બનવું જોઈએ.
#જ્યોત