#જ્યોત
નક્કી, આ વખતે મહામારી ને લીધે પોતે સંઘ લઈને અંબાજી નહી જઈ શકાય અને પોતે અંબાજીમાં માતાજીની અખંડ જ્યોતના પણ દર્શન નહી કરી શકે. અને છેલ્લા પંદર વર્ષથી સતત પોતાના સંઘ સાથે અંબાજીમાં ભાદરવી પૂનમે ધજા લહેરાવવાનો નિયમ પણ તૂટશે એવો અફ્સોસ દરજીકાકા મનોમન કરી રહ્યા હતા. ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. દરવાજો ખોલીને જોયું તો ભીખો હતો. દર વર્ષનો સમય એણે આ વખતે પણ સાચવેલો. પોતાના મેલાઘેલા કપડાંના ખિસ્સામાંથી બે હજાર રૂપિયા દરજીકાકાને આપ્યા અને કહ્યું કે કાકા, આ રૂપિયા મેં સંઘમાં ચાલીને અંબાજી જતા લોકોની મદદ માટે ભેગા કરેલા એ રૂપિયા છે. સંઘ જાય કે ન જાય પણ તમે આ રૂપિયા રાખો. કોઈ જરૂરિયાતમંદની મદદ કરજો. આટલું બોલીને રૂપિયા દરજીકાકાના હાથમાં મૂકી " જ્ય માતાજી " કહીને એ જતો રહ્યો. હવે દરજીકાકાના મનનો ભાર હળવો થઈ ગયો. અંબાજીમાં જ્યોતના દર્શન થાય કે ન થાય પોતે ભાદરવી પૂનમ નિમિત્તે નક્કી કોઈ જરૂરિયાતમંદ ને મદદ કરશે એવો મનોમન નિર્ણય એમણે લઇ લીધો.