અહંકારથી ઉત્સાહી હોવું જોઈએ કે ઉત્સાહી હોવાનો અહંકાર હોવો જોઈએ? કોઈ નક્કી નથી કરી શકતું. ઉત્સાહી હોવાની રીત વ્યક્તિ વ્યક્તિએ અલગ હોય છે. કોઈ શાંતિથી બેસી રહેવામાં ઉત્સાહી હોય છે તો કોઈ દરેક કામમાં આગળ પડતાં રહેવામાં ઉત્સાહી હોય છે.
કોઈને બીજાની વાતોમાં રસ લેવામાં ઉત્સાહી રહેવું ગમે છે તો કોઈકને અન્યોનાં દુઃખમાં ભાગીદાર થવું ગમે છે. કોઈ રમત ગમતમાં ઉત્સાહી હોય છે તો કોઈ અવનવી વાનગીઓ બનાવવામાં. મારા મતે અગત્યની બાબત ઉત્સાહી રહેવાની છે. મન વગર કરેલા કોઈ પણ કામનો કોઈ જ અર્થ રહેતો નથી. ઉત્સાહી બનીને કરેલું કામ અને કરવા ખાતર કરેલું કામ હંમેશા અલગ જ પરિણામ આપે છે, પછી ભલે ને કામ એક જ હોય. જ્યારે આપણને ગમતું કામ મળે અને કરીએ ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે ઉત્સાહી હોઈએ, પણ ખરો ઉત્સાહી એ છે જે મળેલ કામને જ ગમાડી દે.
જીવનની પરિસ્થિતિની ફરિયાદો કર્યા કરવાને બદલે એને સ્વીકારીને પોતાની મેળે એ પરિસ્થિતિ પોતાને અનુકૂળ બનાવી દેનાર ઉત્સાહી સુખેથી જીવી શકે છે, નહીં તો પછી ખુશ થવાની તક ક્યારેય મળતી જ નથી.
એક બાળક ભણવા બેઠું હોય અને બાજુના રૂમમાં એને મનપસંદ ટીવી કાર્યક્રમ મોટા અવાજે ચાલતો હોય તો શું એ ભણવામાં ઉત્સાહી રહી શકશે? ના. એ બાળક છે, એણે નહીં ઘરનાં વડીલોએ સમજવાનું છે કે એ ભણે છે તો આપણે એવું અનુકૂળ વાતાવરણ ઊભું કરીએ.
કોઈને બળજબરીથી કોઈ ઉપવાસ કરવો પડે છે અને એ જ દિવસે ઘરમાં એને ભાવતાં ભોજન બને છે. એ કેટલો ઉત્સાહી રહી શકશે ઉપવાસ પ્રત્યે?
ક્યારેક પોતે ઉત્સાહી બનવું પડે છે તો ક્યારેક ઉત્સાહી બનાવવા માટે પરિસ્થિતિ ઊભી કરવી પડે છે.
#ઉત્સાહી
#ઉત્સાહી