#સુશોભન
સુશોભન શબ્દમાંજ કેટલી સુંદરતા છે.સુશોભન કરવું એ પછી આપણા આવાસનું હોય, કે પછી હોય કોઈ ઉપવનનું.હંમેશા એનાથી હ્દયમાં આપોઆપ સુંદરતાની ધૂપસળી મહેકી ઊઠે.અને પછી એ ધૂપસળીમાંથી સુંદરતાના રંગો આપણી આજુબાજુમાં પ્રસરી જાય.સૂશોભનની વસ્તુઓ કેટલી નિખાલસ હોય છે. તમે કહેશો નિર્જીવ સુશોભનની વસ્તુઓ અને પાછી એને સજીવ નિખાલસ લાગણી?આ વળી કેવો વિરોધાભાસ વિચાર? પણ હા.......!! સુશોભનની વસ્તુ ને પાછી નિખાલસ. એ વસ્તુઓ કદી અમીર ગરીબનો ભેદ નથી રાખતી.એને કોઈપણ લઈ જાય, ચાહે ગરીબ હોય કે તવંગર. બધાના આવાસને એ દિલથી શણગારે છે.કૃષ્ણની જન્માષ્ઠમીની મટકી કોઈક ગરીબની વસ્તીમાં હોય કે પછી હોય કોઈ ધનાઢ્યના પ્રાંગણમાં બંને સુંદરજ લાગે.શ્રાવણ મહીનામાં ઝગમગતી લાઈટોના તોરણ સોમનાથના મંદીરને તો શોભાવેજ પરંતુ કોઈક ગલીના ખૂણા પર આજુબાજુના ઝૂંપડામાં રહેતા લોકો દ્વારા બંધાયેલી એ નાની શંકર, ભોળાનાથની દેરી પર લગાડેલી એવી જ લાઈટના તોરણો પણ સોમનાથની લાઈટના તોરણ જેટલાજ સુંદર લાગે છે.સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લાને શણગારવામાં આવે અને એક સામાન્ય નાગરિક એજ સ્વાતંત્ર્યદિનની ઊજવણી માટે કેસરી, સફેદ અને લીલા રંગના ફુગ્ગાઓ, રીબિન વગેરે જેવી સુશોભનની વસ્તુઓથી પોતાની દેશભક્તિ છતી કરે છે ત્યારે એજ સુશોભનની વસ્તુઓ પણ દેશપ્રેમી ભાસે છે.ગણેશચતુર્થીમાં લાલબાગના રાજાને શણગારીને સુશોભનની વસ્તુઓ ગર્વ અનુભવે છે.ત્યાંજ કોઈ ગરીબના ઘરે પધરાવેલા ગણપતિદાદાનો ઠાઠ પણ જોવા જેવો હોય છે.દિવાળી પર્વમાં રાતના અંધારામાં ક્યારેક શહેરનો કે પોતાના મહોલ્લાનો નજારો જોજો,સાહેબ દરેક આંગણામાં પાડેલી રંગોળી કે દરેક ઘરમાં લગાડેલી જાતજાતની લાઈટો, કંદીલો, કે દીવડાઓ અમીર ગરીબનો ભેદ ભૂલાવી દે છે. બધુંજ સુંદર અને રંગીન દેખાઈ છે.નાતાલમાં કોઈપણ મોટા મૉલમાં કે મોટા મોટા શોપીંગ સેંટરોમાં લગાડેલું ક્રીસમસ ટ્રી, એની સજાવટ અદ્ભૂત હોય છે.પરંતુ કોઈક ગરીબને ત્યાં મૂકેલું એજ ક્રિસમસ ટ્રી અને એની સજાવટ એ ઘરમાં રહેતા રહેવાસીઓ માટે આવતીકાલની સુંદર સવારની આશા લઈને આવશે એવી ખાતરી આપે છે. સાહેબ એટલેજ મેં સુશોભનને નિખાલસ લાગણીના વાઘા પહેરાવ્યા.અને છેલ્લે તમે પણ ક્યારેક તમારી લાગણીઓને સુંદર શબ્દોથી સુશોભિત કરી કોઈકને બે મીઠાં વાક્યો કહીતો જોજો,સાહેબ એ વ્યક્તિ જીવનભર તમને પોતાની યાદમાં જીવંત રાખશે.💐