સોસીયલ મીડિયા....
અપડેટ થતા માણસના મગજની સાથે જમાનો અને તમામ ક્ષેત્ર અપડેટ થવા લાગ્યા છે. અત્યારે દેશની મોટા ભાગની વસ્તી સોસીયલ મીડિયા પર પોતાના વિચારો જાહેર કરી રહી છે. એક સમય હતો જ્યારે સોસીયલ મીડિયા પર લોકોને વિશ્વાસ આવતો હતો. પણ અત્યારે એવું નથી રહ્યું, સોસીયલ મીડિયામાં લાગણી અને સમયના ધોવાણ થઈ રહ્યા છે. સોસીયલ મીડિયા આવતા પ્રાઈવર્સી પર ખતરો વધી રહ્યો છે. રોજ રોજ હેકરો મોટા માથા થી લઈ નાના યુઝરોના આઈડી હેક કરી પોતાના વિચારો પોસ્ટ કરી નાખે છે.
લોકો અહીં એક સમયે મનોરંજન માટે અને માહિતીના આદાનપ્રદાન માટે આવતા હતા, અત્યારે વિશ્વાસ આવે એવી કોઈ માહિતી રહી નથી, અનેક જીવતા લોકોને આ અબુધ પ્રજાએ શ્રધ્ધાંજલિ પણ આપી છે. રોજ સોસીયલ મીડિયામાં અનેક અફવાઓ આકાર લેતી હોય છે. વાસ્તવિકતાથી કઈ જુદી માહિતીનો પ્રસાર એકવાર ચાલુ થાય પછી એ થંભી જવાનું નામ જ નથી લેતો.
બ્લેકમેઈલ થી લઈ ને છેતરપીંડી સુધીની ઘટનાઓ પણ સોસીયલ મીડિયામાં બની રહી છે. એકવાર તમે સોસીયલ મીડિયામાં એન્ટર થયા એટલે તમારી જેતે ફોનની માહિતી અને ડેટા જેતે એપ પાસે જતી રહેશે. અને તમને વહેમ રહેશે કે તમે સેફ છો, તમારી પ્રોફાઈલ કોઈ જોઈ નથી શકતું. તો એ તમારો વહેમ છે. તમારા ફોનના તમામ ડેટા જેતે એપ કંપની પડે જતા રહ્યા હોય છે.
અમેરિકાની ચૂંટણીમાં ફેસબુકના ડેટા ચોરી અને એનું વહેંચાણ થયું હતું એવી માહિતીએ દુનિયા ભરમાં ચર્ચા જમાવી હતી, ખુદ માર્ક ઝુકરબર્ગને અમેરિકાની કોર્ટમાં આ બાબતે માફી માગવી પડી હતી. તો તમે સોસીયલ મીડિયા પર કેટલા સેફ છો? અત્યારે અનેક લોભામણી જાહેરાત કરવામાં આવે છે રોકાણ માટે કે ફ્રી ઇન્જોયમેન્ટ માટે સાઈડ એપ બનાવવામાં આવે છે? શું એ એપ બનાવનાર તમને મફતમાં એપનો યુઝ કરવા આપશે ખરા...? ના...એ લોકોને તમારા ડેટાની કિંમત હોઈ છે. જેનું મોટા પાયે માર્કેટિંગ થાય છે.
અહીં કોઈ શરીફ છોકરીનો ફોટો કે અંગત વિડિઓ કોઈ અપલોડ કરી નાખે પછી એ કેટલો શેર થાય છે...! એનો ગુન્હો શુ હતો કે એ વિડિઓ કે ફોટો એક મિનિટમાં પુરા મીડિયામાં છવાઈ જાય..! આ માધ્યમ હવે ફક્ત બદનામ અને છેતરપીંડીનું માધ્યમ બનીને રહી ગયું છે. થોડા મહિના પહેલા, બાબા રામદેવ, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, અમિતાભ બચ્ચન જેવા લોકોને સોસીયલ મીડિયામાં જ મારી નાખ્યા હતા. એક પોસ્ટ કોઈ ધર્મ વિરુદ્ધ ની જાતિ વિરુદ્ધની આવે એટલે રમખાણ ચાલુ થઈ જાય છે. બસ આ જ છે સોસીયલ મીડિયા...?
ખૈર, કોઈપણ સુવિધાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, જો વિવેકપૂર્ણ ઉપયોગ ન થાય તો એ સુવિધા કે સાધન માણસના મગજ પર હાવી બની જાય છે.
મનોજ સંતોકી માનસ