રાધે...રાધે,,,દ્વારકા નગરીમાં સોનાના હિંડોળે દ્વારકાનાથ ભગવાન શ્રીકૃષ્ણ હિંચકે છે.સાથે પટરાણી રૂકમણીજી બિરાજમાન છે.તે સમયે એક માણસ ભગવાનને મળવા આવે છે.તે ભગવાનનો બાળસખા છે.ગોકુળનો જૂનો મિત્ર છે.તે ભગવાનને આવા વૈભવમાં ખૂબજ ખુશ નિહાળીને પૂછે છે,હે સખા । હે દ્વારકાધીશ । તમે અહીં પટરાણી સાથે સુખ ચૈનથી જીવન વ્યતીત કરો છો અને ગોકુળમાં તમારી રાધા,ગોવાળો અનેગોપીઓની શું દશા છે ,તેની તમને ખબર છે -ભગવાને મંદ મંદ હસીને કહ્યું । ઉધ્ધવ । તું મારો મિત્ર છે. ગોકુળમાં જા અને બધાના ક્ષામકુશળ પૂછીને મને સમાચાર જણાવજે.
ઉધ્ધવ તો ચાલ્યા ગોકુળના માર્ગે. રથ ગોકુળની સીમાએ ઊભો રાખ્યો.તેમને થયુ કે ચાલીને બધાને મળીને ક્ષેમકુશળ પૂછી શકાય.પરંતુ ધરતી પર પગ મૂકતાની સાથે જ .......ગોકુળની રેણુ-રજ બોલે છે રાધે...રાધે...ઉધ્ધવને તો નવાઈ લાગી તેને થયું કે આ મારો ભ્રમ છે.કૃષ્ણ-કૃષ્ણ સંભળાવું જોઈએ.એગળ ચાલ્યા, બેચાર ગોપીના ઘરની મુલાકાત લીધી.આંગણામાં પ્રવેશતા જ પોપટ બોલે છે રાધે...રાધે... જે ગોપીઓ દહીં વલોવી માખણ કરતી હતી, ત્યાં જઈ જુએ છે તો માખણની હાંડી અને વલોણું બોલે છે રાધે...રાધે...ઉધ્ધવ આગળ ગયા,તો઼ થોડા બાળકો રમતાં હતાં. તેઓ બોલે છે રાધે...રાધે...ત્યાંથી જયાં ગાયો ચરતી હતી ત્યાં ગયા, તો ગાયો બોલે છે રાધે...રાધે... યમુના તટે જોયું તો તેના નીર ઉછળે છે અને ધ્વની નીકળે છે , રાધે...રાધે...કદંબના વૃક્ષો, ડાળીઓ,પાંદડા બોલે છે, રાધે...રાધે...વૃદાવનમાં વાંસળીનાં સૂર સંભળાયા,રાધે...રાધે...પશુઓ,પક્ષીઓ,વનસ્પતિઓ,વૃક્ષો,વેલીઓ,લત્તાઓ,મોર,પપીહા,કોયલ,હંસના મધુર ધ્વની વાંસળીના સૂર સાથે સંભળાય છે,રાધે...રાધે...ઉધ્ધવને તો મહાન આશ્ચર્ય થયું.તેમને થયું ચાલો પાછા ભગવાનને જ જઈને જણાવું. ઉધ્ધવ ફરી દ્વારકા આવ્યા. બિચારા ઉધ્ધવને તો આ ભગવાનની લીલા જ લાગી. તેઓ તો મૂંઝવણભર્યા વદને ભગવાનની સામે બે હાથ જોડી ઊભા રહ્યા.ભગવાન મરક મરક હસ્યાં , અને પૂછ્યું, શું ઉધ્ધવ । શા સમાચાર છે , મારા પ્રિય ગોકુળવાસીઓ અને મારી પ્રાણપ્રિયા રાધા કેમ છે , બધા ક્ષેમકુશળ તો છે ને, ઉધ્ધવ કહે, હે પ્રભુ । મને તો કંઈ જ સમજાતું નથી.શું દ્શ્યો મેં જોયા છે । મને લાગે છે કે ગોકુળ તો આપને સાવ ભૂલી જ ગયું છે , આપની જગ્યા તો રાધાએ જ લઈ લીધી છે. ગોકુળ તો જાણે કે રાધા ના નામનો ઉત્સવ મનાવે છે. ભગવાન ખડખડાટ હસ્યાં. ઉધ્ધવ ઓર મૂંઝાયા. પ્રભુ મને સમજાવો કે આ બધું શું છે , ભગવાન બોલ્યા , ઉધ્ધવ , ચિંતા ના કરો. તમે એમ સમજો કે મારો દેહ દ્વારકામાં છે પરંતું મારું હૃદય-મારા પ્રાણ મારો આત્મા ગોકુળમાં છે. અને મારું હૃદય અહોર્નિશ રાધે...રાધે... ના જાપ જપે છે. લોકો મારા જાપ કરે છે અને હું રાધાના જાપ કરું છું. માટે અખિલ વિશ્વ માં ધ્વની ગૂંજે રાધે...રાધે... ઉધ્ધવે ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા , અને બોલ્યા પ્રભુ આપની માયા અપરંપાર છે.................................ગીતા...ડો.ભટ્ટ દમયંતી.......