....#.... માળાનું મહત્વ ....#....
....(ભાગ ૨)....
૪) વિવિધ સંપ્રદાયોમાં માળાની વિવિધતા :-
(૧) હિન્દુ ધર્મમાં સાધનાના પ્રતીકરૂપ બની ગયેલી માળાએ અન્ય ધર્મોમાં કેવું સ્વરૂપ ધારણ કર્યું છે તે પણ સમજવા જેવું છે. ઇસ્લામમાં માળાને 'તસબીહ' કહેવામાં આવે છે. તસબીહમાં ૯૯ મણકા હોય છે. 'અલ્લાહ'નું નામ જપતાં તેઓ તસબી ફેરવે છે. તસબીનો મુખ્ય મણકો 'ઈમામ' કહેવાય છે. આ માળા ત્રણ ભાગમાં વહેંચાયેલી હોય છે. મોટે ભાગે ત્રણેય ભાગોના મણકાના રંગ જુદા જુદા હોય છે. તેનો આકાર પણ ભિન્ન હોય છે અને જુદાં જુદાં દ્રવ્યોમાંથી બનેલા હોય છે. મુસ્લિમોમાં બીજા પ્રકારની માળા પણ જોવા મળે છે. તેમાં ૯૯ ને બદલે ૧૦૧ મણકા હોય છે. તેની સાથે ૧૦૧ પયગમ્બરોનાં નામ જોડાયેલા છે એવી એક માન્યતા છે. મુસ્લિમોમાં માળાનો પ્રચાર ક્યારથી થયો તે વિશે ઘણી બધી માન્યતાઓ છે. ૯મી શતાબ્દીના એક પુરાણા મુસ્લિમ ગ્રંથમાં તસબીહનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ વિદ્વાનોનું માનવું છે કે ભારતના બૌદ્ધો પાસેથી તેમણે માળાની પરંપરા મેળવી છે.
(૨) ખ્રિસ્તીઓમાં રોમન કેથોલિક સંપ્રદાયમાં ૧૫૦ મણકાની માળાનું પ્રચલન છે. ૧૫ મોટા મણકા વડે તે માળામાં દસ ભાગ પાડ્યા હોય છે. રોમન સાધુઓની માળામાં ૧૮૦ મણકા હોય છે. એ માળા ત્રણ મોટા મણકાથી જ ચાર ભાગોમાં વિભાજિત થયેલ હોય છે.
(૩) જૈનોમાં પણ જપમાળાનો વ્યાપક પ્રચાર જોવા મળે છે. જૈનોની માળામાં ૧૧૧ મણકા હોય છે. તેમાં ૧૦૮ મણકા પર તો તેઓ 'णमो अर्हन्ताय’ એવો જાપ કરે છે, બાકીના ત્રણ મણકા પર ‘सम्यग्दर्शन-ज्ञान चारित्रेभ्यो नमः’નો જાપ કરે છે.
(૪) બૌદ્ધોની માળામાં ૧૦૮ મણકા હોય છે. એવું કહેવાય છે કે ગૌતમ બુદ્ધના જન્મ સમયે ૧૦૮ જ્યોતિષીઓને એમનું ભાગ્યફળ જોવા માટે બોલાવાયેલા. અને ૧૦૮ માળાના મણકા એ ઘટનાના પ્રતીકરૂપે છે.
હવે જાણીએ આપણા પે'લા પ્રશ્નોના ઉત્તર...
૧) ૧૦૮ મણકા કેમ?
'બ્રહ્માંડ-પિંડ' સિદ્ધાંત અનુસાર, પ્રકૃતિના નિયંત્રણથી બ્રહ્માંડની ચારેય દિશામાં ફરતી રહેતી નક્ષત્રમાળાને જોઈને, ભારતીય ૠષિઓએ પણ નક્ષત્રોની સંખ્યા(સત્તાવીસ)ને દિશાઓની ચારની સંખ્યાથી ગુણીને એકસો આઠ સંખ્યાના મણકાવાળી માળાનું નિર્માણ કર્યું.
૨) વચલી આંગળીથી શા માટે ?
જાપમાં માળા ફેરવતી વખતે તર્જની આંગળીનો ઉપયોગ નથી કરાતો, કારણ કે
हृदि तिष्ठद्दशांगुलम् (यजुर्वेद ३१)
ભગવાનનું મુખ્ય નિવાસસ્થાન હૃદય પ્રદેશમાં છે. આ પ્રમાણો અનુસાર હૃદયને પ્રભાવિત કરવાને માટે જાપ થાય છે જે વચલી આંગળીની (મધ્યાંગુલી) ધમનીનો હૃદયપ્રદેશ સાથે સીધો સંબંધ છે, એટલે જાપમાં એનો ઉપયોગ થાય છે.
૩) માળા-કંઠી ગળામાં શા માટે ?
અધિક જાપ કરવાવાળી વ્યક્તિઓને - ખાસ કરીને જે 'ઉપાંશુ' - ચૂપચાપ હોઠ અને જીભ હલાવ્યા વિના - જેનું શાસ્ત્રમાં અધિક માહાત્મ્ય વર્ણવેલું છે - જાપ કરતા હોય એમની કંઠ-ધમનીઓને અધિક પરિશ્રમ કરવો પડે છે. એટલે ભય રહે છે કે ક્યાંક એ સાધક ગલગંડ, કંઠમાળ આદિ રોગોથી પીડાય નહિ. આ ભયથી બચવાને માટે તુલસી, રુદ્રાક્ષ આદિ દિવ્ય વૃક્ષોમાંથી બનાવેલી કંઠી, માળા ધારણ કરવામાં આવે છે. આ વૃક્ષો ઉપરના રોગોને દૂર કરવા માટેની સફળ ઔષધિ છે.
# નોંધ :-
માળા માત્ર સાધન છે. નામજપમાં માળા કરતાં મહત્ત્વનું અંગ મન છે. મન જો નામજપમાં ન જોડાય તો માળાનો મતલબ રહેતો નથી. ભક્તકવિઓએ આથી જ ગાયું છે : "માળા તો કરમાંહી ફિરે, મન ફિરે ચહુ દિશ..."
(.....શુભસ્તુ....)
હર...હર...મહાદેવ....હર...