....#.... માળાનું મહત્વ ....#....
(ભાગ ૧)
કેમ છો,મિત્રો???
કંઈક નવું જાણવાની મહેચ્છા ખરી...?
તો ચાલો આજે માળામાં ફેરવું આપ સૌને...
મનુષ્યને ઇશ્વર સાથે નામ સ્મરણ દ્વારા જોડતું માધ્યમ એટલે "માળા"....
ગણતરી મુજબના જાપ જપવા ઋષિઓ દ્વારા બનાવેલ એક ઉપાય માત્ર...
જોઇ તો દરેકે હશે જ. પેલી તુલસી,રુદ્રાક્ષ કે ચંદનના મણકા વાળી. યાદ આવી? હા એજ.
ચલો અમુકે ફેરવી પણ હશે, અને હાં અમુક જાપક તો દિનચર્યાના નિત્યક્રમ રુપે ફેરવે પણ છે.
પણ મિત્રો કદીયે આપને એવો પ્રશ્ન થયો છે,કે ૧)માળાના મણકા ૧૦૮ કેમ હોય છે?
૨)માળાને વચલી આંગળીએ કેમ ફેરવાય છે?
૩)માળાને જાપક ગળામાં કેમ ધારણ કરે છે?
ચાલો શરૂઆતથી જાણીએ...
૧) કણ-જાપ :-
અગ્નિપુરાણમાં કહ્યું છેઃ ‘असंख्यातन्तु यज्जत्पं सर्वं तद् अफलं स्मृतम्’ "જે કંઈ મંત્ર જપો તેની ગણતરી હોવી જ જોઈએ." ગણ્યા વગરના મંત્રજાપ અફળ જાય છે, તેને રાક્ષસો લઈ જાય છે એમ મનાય છે.
નામજપ એ ભક્તિ સંપ્રદાયનું આગવું અંગ છે. ભક્તિ-પ્રણાલીના ઉદ્ગમકાળે નિરક્ષરતા વ્યાપ્ત હતી. આવા સમયે સામાન્ય વર્ગ ભક્તિ તરફ વળ્યો એટલે જપ-ગણનાની સમસ્યા ઊભી થઈ. ૠષિમુનિઓએ એકત્ર થઈ જપનાં સાધનો શોધી કાઢ્યાં. પ્રથમ તો છાણ, લાખ, સિંદૂરનું મિશ્રણ કરી એક યજ્ઞપૂત પાત્ર તૈયાર કરી આપ્યું. તેમાં ધાન્ય ભરી કણ-ગણતરીથી નિયત સંખ્યા બાંધી. જે કોઈ નામજપ આદરે તે પહેલાં ૠષિ આશ્રમેથી આ કણપાત્ર લઈ આવે. એક એક કણે મંત્ર જપે. ને એમ જપની ગણતરી અસ્તિત્વમાં આવી.
૨) કર માળા :-
સમય જતાં પરિવ્રજ્યા કરતાં કરતાં પણ નામજપ થાય તેવું ૠષિઓએ શોધ્યું. જેમાં 'કરમાળા'-આંગળીઓના વેઢા દ્વારા ગણતરીની પદ્ધતિ-સૌને આપી. તેમાં નિયમો પણ મૂક્યા, જેવા કે આંગળી-આંગળી વચ્ચે ખાલી જગ્યા ન હોવી જોઈએ, અમુક મુદ્રા અમુક ઉપાસકો માટે અપનાવવી, નક્કી કરેલા સ્થાને જ જપ કરવો, વગેરે. કણપાત્ર કરતાં કરમાળા ઠીક ઠીક ઉપયોગી થઈ.
૩) સતત ભ્રમણશીલ યાત્રિકો માટે કર માળાનો ઉપાય જરા કઠિન નીવડ્યો. વેદ-ઉપનિષદ્ના મંત્રદ્રષ્ટાઓને ભીતર કંઈક પ્રકાશ થતાં, ‘अरा इव रथनाभौ संहता यत्र नाड्यः’ મુજબ, કમળના બીજમાં છિદ્ર પાડી, મુંજરેષાતંતુને પરોવી પ્રથમ પચ્ચીસની અંકગણના થઈ શકે તેવી માળા રચી. જોડાણમાં એક મેરુમણિ રાખ્યો. આરાનું કેન્દ્ર રથનાભિ હોય છે તેમ.
પછી ઇન્દ્રાક્ષ, રુદ્રાક્ષ, શંખ, સ્ફટિક, પુત્રજીવ વગેરેની માળાઓ અસ્તિત્વમાં આવી. તે સઘળાનું નવીન સ્વરૂપ - ૧૦૮ મળકાની માળા આજપર્યંત રૂઢ છે. જેના મૂળમાં વારાહ ઉપનિષદની તત્ત્વ ગણતરીનો મુખ્ય આધાર છે.
છ વિકાર, છ ઊર્મિ, છ કોષ, છ રિપુ, દશ ઇન્દ્રિયો, ચાર અંતઃકરણ, પંચવિષય, પંચભૂત, દશ પ્રાણ, ત્રણ અવસ્થા(જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ), ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ કર્મ, ત્રણ અવસ્થા(બાળ-યૌવન-વૃદ્ધ), ચાર વિષય અંતઃકરણના (સંકલ્પ, અધ્યવસાય, અભિમાન, અવધારણા), ચાર ભાવ (મુદિતા, કરુણા, મૈત્રી, ઉપેક્ષા), ચૌદ દેવતા, નવ ગ્રહ, જન્મ, મૃત્યુ, પુરુષ અને માયા - કુલઃ ૧૦૮ તત્ત્વોથી જીવાત્મા તદ્દન ભિન્ન છે તેનું ભાન ઈશ્વરપ્રણિધાનમાં તત્પર થયેલો સાધક ક્ષણે ક્ષણે કેળવતો રહે એવી જાગરૂકતા ૠષિઓએ જપ સાથે સાંકળી લીધી. ૧૦૮ તત્ત્વોથી ઉપર રહેલો આત્મા તેનો મેરુ છે. તેનું જાણપણું મૂક્યું.
......(ક્રમશઃ...)