કહેણ મોકલાવું છું હરિ તને તું વેણ રાખજે મારું.
શું કહેવું અંતરયામી તને ટાણું તું સાચવજે મારું.
નરસિંહના મામેરાં પૂરનારોને ઝેર મીરાના પીનારો,
વ્યથા ભક્તની વસમી વિશ્વંભર સંભાળજે મારું.
દ્રૌપદીનાં ચિર પૂરનારો તું સારથિ પાર્થનો થનારો,
વીતી ન જાય વેળા આમંત્રણ તું સ્વીકારજે મારું.
પ્રહલાદને ઉગારનારો તું, ગોરાને સમજનારો તું,
કહેણ મારું કાને ધરી કહાન દુઃખ નિવારજે મારું.
હે હરિવર હવે ઝાઝું શું કહેવું તારા આશરે રહેવું,
કર્મફળ ભોગવતા મનુજનું મન મલકાવજે મારું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '