#MoralStories
દુનિયાના ભગવાન મા-બાપ
વિમર્શ જેવો ઓફિસથી ઘેર આવ્યો તરત જ વિશ્રુતિએ તેના તીખા અંદાજથી તેના સાસુ સસરાની નિંદા વિમર્શ આગળ કરવાનું શરૂ કરી દીધું. વિમર્શ જોને તારા માતા-પિતા આખો દિવસ દરેક વાતમાં ટોક્યા કરે છે. વળી એમના મેલા કપડાં ધોવામાં જ મારો જીવ નીકળી જાય છે. મારી બહેનપણીઓ આગળ તેમને સાસુ સસરા કહેતા પણ મને શરમ આવે છે. તું એમને પાછા ગામડે મુકી આવ. " શું વાત કરે છે વિશ્રુતિ! આ ઉંમરમાં એ કંઈ રીતે એકલા ગામડે રહે એનો તો વિચાર કર." વિશ્રુતિ કોઈને કોઈ વાતને લઈને તેના સાસુ સસરાને વિમર્શ આગળ હલકા પાડવા હંમેશા તૈયાર રહેતી.
એક દિવસ તો વિશ્રુતિએ હદ જ કરી દીધી. તેના સાસુ સસરા જ્યારે મંદિર ગયા હતા ત્યારે જાતે કરીને તેમના રૂમની દિવાલો ખરાબ કરી દીધી જેથી તે વિમર્શને બતાવી તેમને ઘેરથી કાઢવાની વ્યૂહ રચના બનાવી દીધી.
વિમર્શ જેવો ઓફિસથી ઘેર આવ્યો તેણે તરત જ તેમના રૂમની દિવાલો બતાવી કહ્યું, " જુઓને આ લોકોએ રૂમ કેટલો ગંદો કર્યો છે. આ લોકો શહેરમા રહેવાને લાયક જ નથી." પહેલેથી ખરાબ કરેલા ગંદા રૂમને જોઈ વિમર્શ પણ ગુસ્સે થઈને તેના માતા પિતાને કહ્યું, " આ શુ કર્યું છે તમે બંનેએ?" જવાબમા તેમણે કહ્યું, " બેટા, આ દિવાલો કઈ રીતે ખરાબ થઈ તેની અમને ખબર નથી. " તેમ છતાં વિમર્શે તેમને ન કહેવાના શબ્દો કહ્યાં. તેમનાથી આ સહન થયું નહી તેઓ બીજા દિવસે સવારે જ ગામડે જવા નીકળી ગયા.
વિમર્શની ઓફિસમાં આજે ઉત્સવ જેવું વાતાવરણ હતું. ત્યા જ તેની કંપનીના બોસે જાહેરાત કરી કે આજે મારો જન્મદિવસ છે તો નજીકના વૃધ્ધાશ્રમમાં મે નાનો કાર્યક્રમ રાખ્યો છે. બધા સાંજે ત્યાં હાજરી આપવાની છે. કંપનીના બધા કમૅચારીઓ નિયત સમયે વૃધ્ધાશ્રમમાં પહોચી જાય છે. ત્યાં ખૂબ જ ધામધૂમથી બધા વડીલો વચ્ચે કાર્યક્રમ શરૂ થાય છે. બધા ખૂબ જ ઉત્સાહિત થાય છે. વિમર્શના બોસ જગદીશભાઈ અંતમાં કહે છે કે, " નાની ઉંમરમાં જ મે મારા માતાપિતા ગુમાવી દીધા હતા. ત્યારથી મારા ખુશીઓના પ્રસંગે હું અહીં આવીને બધા વડીલોને મારા માબાપ ગણું છું. દરેકે પોતાના માબાપની સેવા કરવી જોઈએ. માબાપ જ દુનિયાના ભગવાન છે."
વિમર્શ પર આ વાતની બહું ઉંડી અસર થઈ. તે બીજા જ દિવસે ગામડે જઈ તેના માબાપની માફી માગી તેમને પાછા શહેર તેડી લાવે છે...
માતા પિતા જ આ દુનિયાના જીવતા જાગતા ભગવાન છે.