રાષ્ટ્રીયઃ NIAએ બુધવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીના 17 જગ્યાએ તપાસ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન 10 સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી. આતંકી સંગઠન ISIS જેવું મોડ્યૂલ હરકત-ઉલ-હર્બ એ ઈસ્લામ ઉત્તર ભારતમાં વિસ્ફોટનું ષડયંત્ર કરી રહ્યાં હતા. જે બાદ ઈનપુટના આધારે ઉત્તરપ્રદેશના અમરોહા, દિલ્હીના જાફરાબાદ, લખનઉ સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યાં હતા. મોડ્યૂલનો આગેવાન મુફ્તી સોહેલ દિલ્હીમાં રહેતો હતો. મૂળ રૂપથી તે અમરોહાનો રહેવાસી હતો અને મસ્જિદથી કામને સંચાલિત કરતો હતો.
વડોદરાઃ વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડી 31 ડિસેમ્બરની રાત્રે યોજાનારી પાર્ટીઓમાં વડોદરાની સંસ્કારીતા જળવાઇ રહે તે માટે બીભત્સ કપડાં પહેરવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. તેમણે જણાવ્યું કે, બિભત્સ કપડાં પહેરવાથી પાર્ટીઓમાં જોડાતા બાળકોના માનસ ઉપર અસર થાય છે.
મોરારીબાપુઃ વિવિધ વિષયો પર કેન્દ્રવર્તી વિચાર (થીમ) સાથે રામકથાઓ કરી રહેલાં પ્રસિદ્ધ રામાયણી મોરારીબાપુ હાલ અયોધ્યા ખાતે ગણિકાની થીમ પર રામકથા કરી રહ્યા છે. આ અંગે તેમણે મુંબઈના બદનામ વિસ્તારોમાં જઈને ગણિકા યાને નગરવધુ (સેક્સ વર્કર્સ)ને જાતે આમંત્રણ આપ્યું હતું. આથી એક સ્વૈચ્છિક સંસ્થાના માધ્યમથી 200 જેટલી સેક્સ વર્કર્સ રામકથા સાંભળવા અયોધ્યા પહોંચી છે. જોકે, રામકથા જેવા ધાર્મિક કાર્યમાં સેક્સ વર્કર્સની હાજરીને લીધે કેટલાંક સંતો, મહંતોમાં ભારે નારાજગી ઊભી થઈ છે.
રાજકારણઃ કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું હતું કે વડાપ્રધાન પુલ પર ફોટો પડાવવાનું છોડીને મેઘાલયની ખાણમાં ફસાયેલા 15 નાબાલિકોને બચાવવા જોઇએ. મેઘાલયની કોલસાની ખાણમાં પાણી ભરાવાથી 13 ડીસેમ્બરથી બાળકો ફસાયેલા છે.
સ્પોર્ટઃ કતર્નિયાઘાટ વન્યજીવ ક્ષેત્રમાં શિકાર કરીને પાછા ફરી રહેલા આંતરરાષ્ટ્રીય ગોલ્ફર જ્યોતિ સિંહ રંધાવાની વન વિભાગની ટીમે ધરપકડ કરી છે. રંધાવાની પાસેથી એક .22 રાયફલ પર જપ્ત કરવામાં આવી છે. જ્યોતિ સિંહ રંધાવા અભિનેત્રી ચિંત્રાગના સિંહના પૂર્વ પતિ છે.
ગુજરાતઃ તાજેતરમાં થયેલા બે અકસ્માતોમાં કે જેમાં આઠ વિદ્યાર્થીઓના મોત થયા હતા અને અન્યને ઇજા થવા પામી હતી ત્યારે ગુજરાત સરકારે શાળાઓની પિકનીક બસોને રાત્રે ચલાવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ નિર્ણય રાજ્યની કેબિનેટની મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો એમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બેઠક બાદ જણાવ્યું હતું.
ગુજરાતઃ રાજકોટ કે વડોદરામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયંસીઝ (એઇમ્સ) સ્થાપવાના મુદ્દે આજે ગુજરાત સરકારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ નવું ઇન્સ્ટિટ્યુટ ક્યાં સ્થપાશે તે નક્કી કરશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારે કેન્દ્ર સરકારને સૂચિત સ્થળ શોધી કાઢવાની દરખાસ્ત મોકલી આપી છે.
માર્કેટઃ એચડીએફસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી માંધાતા કંપનીઓની આગેવાનીએ ભારતીય શેરબજારને અર્ધો ટકો ઊચે લઇ જવામાં મદદ કરી હતી. દિવસના બીજા સત્રમાં એસએન્ડપી 500 અન ડાઉ જોન્સમાં સુધારો થતા માર્કેટ રિબાઉન્ડ થયું હતું. જેમાં બીએસઇ સેન્સેક્સ 180 પોઇન્ટનો અથવા 0.51 પોઇન્ટ વધીને 35,650 અને નિફ્ટી 66 પોઇટ અથવા 0.62 ટકા વધીને 10,730 પર બંધ આવી હતી.
રાષ્ટ્રીયઃ પ્રોબિટી વોચડોગ સેન્ટ્રલ વિજીલન્સ કમિશન (સીવીસી)એ છેતરપીંડીઓ અને સુધારાત્મક પગલાંનું સુચન કરવા માટે સરકાર હસ્તકની બેન્કો અને વીમા કંપનીઓના ઓડીટ રિપોર્ટ તપાસવાનુ શરૂ કર્યું છે. આ પગલાંની અગત્યતા એટલા માટે વધી જાય છે કે બેન્કોમાં મોટા પાયે છેતરપીંડીના કિસ્સાઓ સામે આવ્યા છે અને બેડ લોનનું પ્રમાણ પણ ઘણું ઊંચુ છે.