.....#...... મોક્ષદા એકાદશી....#......
વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષનાં દ્વિતીય માસ માગશરની સુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહેવાય છે.જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે,તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે.જેથી દરેકે આ વ્રત કરવુ જોઈએ.આજ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનોઉપદેશ કીધો હતો,માટે આ દિવસને"ગીતા જયંતી"તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે ગીતાનાં બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નીશ્ચીત માંનવામાં આવે છે,માટે આ એકાદશીને"મોક્ષદા એકાદશી"કહેવાય છે.
મોક્ષદા એકાદશી પૌરાણિક કથા:-
પહેલાના સમયમાં ગોકુળ નામના રાજ્યમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા. રાજા પ્રજાનું પુત્રવત્ પાલન કરતો હતો. બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા. એક વખત રાત્રે રાજાને સ્વપ્નું આવ્યું કે તેના પિતૃઓ નરકમાં પડ્યા હતા.
તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું. બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે ‘હે વિપ્રો, કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું. તેમાં મારા પિતૃઓ મને નરકમાં પડેલા દેખાયા. તે મને કહેતા હતા કે હે પુત્ર તું અમારો ઉદ્ધાર કર. ત્યારથી મારાં સુખ ચેન ચાલ્યા ગયાં છે. હવે આપ જ મને આનો કોઇ યોગ્ય ઉપાય બતાવો.’
બ્રાહ્મણોએ તેને કહ્યું કે, ‘હે રાજન,અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે.તે મુનિ ત્રિકાળજ્ઞાની છે. તેમની પાસે તમે જાવ અને તમારા સ્વપ્ન વાત કરો. તે અવશ્ય તેનો ઉપાય બતાવશે.’
આથી પિતાની અવગતિ જોઇ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો.તે આશ્રમ ઘણો મોટો હતો.તેમાં અનેક ઋષિ મુનિ રહેતા હતા.રાજા ત્યાં પહોંચ્યા તેણે પર્વત મુનિને જોયા તેમના તેજની આભા જોઇ તે તેમના પગમાં પડી ગયો અને સઘળી વાત કરી.
રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માગશર સુદ અગિયારશ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તેનું વ્રત કરવાનું કહ્યું રાજાને તેવી વિધિ કહી.
મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો.જયારે ઉત્તમ માગશર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખાનસે મુનિના કહેવા પ્રમાણે “મોક્ષદા” એકાદશીનું વ્રત કરીને એનું પૂણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું.પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફુલોની વર્ષા થવા લાગી.વૈખાનસના પિતાએ પિતૃઓ સહિત નર્કમાંથી છૂટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઇને રાજાને આવા પવિત્ર વચનો કહ્યાં :“પુત્ર તારું કલ્યાણ થાઓ!” આમ કહી તેનો સ્વર્ગમાં ચાલ્યા ગયા.
આ પ્રમાણે કલ્યાણમયી “મોક્ષદા” એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઇ જાય છે,અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે.આ મોક્ષ પ્રદાન કરનારી “મોક્ષદા” એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે.આ મહત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયનું ફળ મળે છે.”
વ્રતનું સંકલ્પ કેવી રીતે કરશો:-
આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા વ્રતનું સંકલ્પ કરો.તેના પછી સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઇને શુદ્ધ જળથી સ્નાન કરાવો,તેના પછી ધૂપ,દીવો, નૈવેધ વગેરે સોળ વસ્તુથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરો અને રાતે દીપદાન કરો.
દશમના દિવસે બપોર પછી કાંઇ જમવું નહીં.રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું.એકાદશીના દિવસે પ્રાતઃકાળ ઊઠી પ્રાતઃકર્મો પતાવી દેવસેવા અને વિષ્ણુસેવા કરી લેવી.ધૂપ દીપ સહિત એક વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. તે પછી તાંબાનો એક લોટો લેવો.તેમાં જળ તથા ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઇ નજીકના પીપળે જઇ ત્રણ, પાંચ કે સાત પ્રદક્ષિણા સહિત તે જળ પીપળે ચડાવવું. શકય હોય તો ત્યાં એક વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો તે પછી ઘેર આવી નિત્યકર્મ કરવા.