.....#....ભાઇ બીજ....#.....
આપણા સમાજમાં "દિકરીના ઘરનું પાણી ના પીવાય" એવું ચલણ છે. પણ બેનના ઘરનું તો બધુંય જમણ ચાલે હો...
આ દિકરીના ઘરવાડી પ્રથા કેમ ઉદ્ભવી એનું કારણ કંઇક ભિન્ન જ છે,અને એનાથી આપણે અનભિજ્ઞ છીયે. પણ અત્યારે જવા દો એ વાતને... પછી ક્યારેક વાત...
અત્યારે તો "ભાઇ-બીજ"ની વાત કરીએ.
ભાઈબહેનના પ્રેમનો અનોખો તહેવાર એટલે ભાઈબીજ.યમુનાજી યમરાજના નાના બહેન છે. યમુનાજીને યમરાજે અભય વરદાન આપ્યું હતું કે જે ભાઈબહેન યમુનાજીમાં સ્નાન કરશે તેને યમની યાતનામાંથી મુક્તિ મળશે.આમ ભાઈબીજનો દિવસ એ યમુનાસ્નાનનો દિવસ ગણાય છે.
શ્રી યમુનાજીને પોતાના આ વડીલ વીરા ખૂબ વ્હાલા હતાં, તેથી તેઓ વારંવાર ધર્મરાજ શ્રી યમદેવને પોતાને ગૃહે ભોજન લેવા અર્થે બોલાવતાં. પરંતુ યમરાજ તો આખા વર્ષ દરમ્યાન કામ મગ્ન હોઈ પોતાની પ્રિય ભગિનીને ગૃહે ન જઈ શકતાં. આથી એકવાર શ્રી યમુનાજી ભાઈને ઘેર ગયા અને ભાઈને વિનંતી કરી કે ભ્રાતૃ આજે કાર્તિકી એકમ છે,આવતી કાલે આપ મારે ત્યાં ભાભી અને પરિવાર સાથે જમવા પધારો,આટલા વખતથી હું આપને વિનંતી કરી રહી છું, પરંતુ આપ કામમાં મગ્ન હોઈ આવી શકતાં નથી, માટે કૃપા કરી આ વખતે મારે ત્યાં જમવા પધારો, એમ બોલતાં બોલતાં શ્રી યમુનાજીની આંખો ભરાઈ આવી. પોતાની નાની બહેનની આંખો છલકાઈ આવેલી જોઈ શ્રી યમરાજાએ પોતાની બહેન ને વચન આપ્યું કે,આવતીકાલે કાર્તિકી સુદ બીજના તેઓ ચોક્કસ બહેનને ત્યાં જમવા પધારશે. બીજે દિવસે યમરાજા પોતાનું વચન પાળવા માટે પોતાના પરિવાર સાથે બહેનને ત્યાં આવી પહોંચ્યાં. તે દિવસે બહેને પણ પોતાને આંગણિયે પોતાના ભાઈને જોઈ અતિ પ્રસન્ન થઈ. અત્યંત આનંદિત થઈ, બહેને ભાઇનું સ્વાગત કર્યું, ભાઈના લલાટે કુમકુમ તિલક કરી અક્ષત લગાવી, પુષ્પથી વધાવી, આરતી ઉતારીને ભાઈના ઓવારણાં લીધા. બહેનને પ્રસન્ન થયેલી જોઈ યમરાજા પણ અત્યંત આનંદિત થઈ ગયા. બહેને ભાઈને ચાંદીના પાત્રોમાં પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું.
ભોજન બાદ પસલીમાં યમરાજાએ બહેનને રંગબેરંગી વસ્ત્રો અને રત્નજડિત અલંકારો આપ્યા, અને કહ્યું કે બહેન આ બધું તો મે મારી ઈચ્છા મુજબ આપ્યું છે,પરંતુ તારી ઈચ્છા મુજબ તું મારી પાસે કંઈક માગ ત્યારે પ્રથમ તો શ્રી યમુનાજીએ ના કહી પરંતુ વડીલ બંધુના વારંવાર આગ્રહથી અને ભાઇનું માન રાખવા શ્રી યમુનાજીએ માંગ્યું કે ભાઈ આપ મને કંઈક આપવા જ ઇચ્છતા જ હોય તો હું ફક્ત એક જ વરદાન માંગુ છું, કે આપ કૃપા કરીને આપની યમપુરીમાં પિડાઈ રહેલા જીવોને મુક્ત કરો. ત્યારે યમરાજા કહે બહેની મારૂ કાર્ય છે કે જીવોને તેમના કર્મ મુજબ હું તેમને દંડ આપું.પરંતુ તે મારી પાસેથી વચન માંગ્યું છે તો હું પણ તને વચન આપું છું કે, આપણાં ભાઈ બહેનના પ્રતિક રૂપે આજના દિવસે જે જીવ ઉજવીને તારા જળમાં સ્નાન કરશે અને તારા જલ રૂપી અમૃતનું પાન કરશે તેને યમ અને યમપુરીનો ભય નહીં રહે. ઉપરાંત આ ફક્ત આજના દિવસની વાત નથી યમુને, જે કોઈ જીવ તારા શરણે આવીને નિત્ય તારું સ્મરણ કરશે તેને હું યમ, સૂર્ય પુત્ર યમ કદીયે યમ્હ્સ્ત લગાવીશ નહીં. યમરાજાના વરદાન મુજબ જોઈએ તો યમુનાજીને માનનારા બધાં જ જીવો શ્રી યમુનાજીના બાળ છે અને યમરાજા પોતાની બહેનના બાળકોને દંડ કેવી રીતે આપે?
આ છે "ભાઇબીજ"નું માહાત્મ્ય....
......જય ભોળાનાથ.....