અગ્નિકન્યા અને આજની કન્યા...
પાંચાલી, અગ્નિકન્યા, અગ્નિસંભવા, દ્રૌપદી, યાજ્ઞસેની, અગ્નિશિખા, મુક્તકેશા, કૃષ્ણા... કેટલાંય નામ છે, પણ ઓળખાણ એક જ 'જેનું ભરી સભા મા વસ્ત્રાહરણ થયું હતું એ.. જેના આત્મસન્માન ના લીરેલીરા ઉડ્યા હતા એ.. જે સામ્રાજ્ઞી હોવા છતાં નિરાધાર બની હતી એ.....'
આજે પણ ઘણો ફેર નથી તમારા અને મારા મા.. હું દ્રૌપદી...
ગુરુ દ્રોણ નું વધ કરવા માટે મારા પિતા એ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યું.. અને હું અવતારી.. યાજ્ઞસેની. આજે પણ પુત્ર પ્રાપ્તિ માટે થઈ કેટલીય નિરાધાર કે બોજરૂપ પાંચાલી જન્મ લે છે. હા અમુક જગ્યાએ પરિસ્થિતિ બદલાઈ છે પણ હ્રદય પર હાથ મૂકી પૂછી જોજો કે આજ ના ' હમ ૨ હમારે ૧ ' ના યુગ મા શું ખરેખર હવે કઈ ફેર નથી પડતો બાળક છોકરી હોય કે છોકરો???
દ્યુત મા મને એક વસ્તુની જેમ હોડમાં મૂકવામાં આવી.. જેમ તમને દાન માટે મુકાય છે, કન્યાદાન. દાન તો વસ્તું નું થાયને, જીવિત વ્યક્તિનું દાન થાય?? એ પણ પૈસા આપીને, જેટલી ઊંચી બોલી એટલું સારું ઘર અને વર, બરાબર ને???
ધુત માં મુકેલ વસ્તું ની જેમ મને મૂંગા મોઢે દાસીત્વ સ્વીકારવા ફરજ પાડવામાં આવતી હતી નિયમો ના નામે, એમ તમને મર્યાદાઓ બતાવવા મા આવે છે સંસ્કારો ના નામે...
પાંડવોની પત્ની, હસ્તિનાપુર ની કુળવધુ, ઇન્દ્રપ્રસ્થની સામ્રાજ્ઞી હોવા સાથે હું એક સ્ત્રી હતી, મારું એક અલગ અસ્તિત્વ હતું જેને નકારવા મા આવી હતી, જેમ આજે પણ ક્યાંક ને ક્યાંક દીકરી, પત્ની, કે પુત્રવધૂ ના અલગ વિચારોને નકારી એના અસ્તિત્વ પર તરાપ મારવા મા આવે જ છે...
મારા આત્મસન્માન ને હણી મૃત્યુને આવકાર કૌરવોએ આપ્યો હતો છતાં મહાભારતની સંહારલીલા નું પ્રેરકબળ મને ગણવામાં આવે છે, જેમ ઘર ના ભાગલા પાડવા માટે ઘણા તત્વો ભાગ ભજવતા હોય છે છતાં જવાબદાર તો સ્ત્રી જ ગણાય છે...
યુગ બદલાયો છે, નામ બદલાયા છે, પણ આજે પણ અગ્નિકન્યા અને આજની કન્યા ની પરિસ્થિતિ એ જ છે... બદલાય છે તો ફક્ત સ્ત્રીની ઓળખ.. એનું નામ.. એનું સરનામું.. અને ક્યારેક એનું સમૂળગું અસ્તિત્વ જેની આ પુરુષપ્રધાન સમાજ માં ગણના નહિવત્ છે...