પરકાયા પ્રવેશ....
પરકાય પ્રવેશ આ શબ્દ નાટક માટે ખુબ જ જાણીતો છે. જે વ્યક્તિ નાટક સાથે જોડાયેલો છે તેને આ શબ્દ દિલથી અનુભવ્યો હશે. હું પણ નાટકનો માણસ. અભિનયમાં ઘણીવાર આ શબ્દ સાથે પનારો પડ્યો અને નિભાવ્યો. નાટકનું કોઈ પાત્ર જો ભજવવું હોય તો એ પાત્ર આપણે પોતે જ છીએ એ અનુભવવું પડે. રાજાના પાત્રમાં રાજા જેવી ખુમારી તો ભિખારીના પાત્રમાં ભિખારી જેવી લાચારી બતાવવી પડે.
પણ આ શબ્દને નવલકથા અને વાર્તા લખતાં પણ એટલો જ અનુભવ્યો. નવલકથા કે વાર્તા લખાય છે એક જ વ્યક્તિ દ્વારા પણ અંદર આવતા પાત્રોમાં લેખક પોતે ઉતરી જાય છે. ભલે રંગમંચ ઉપર તે પોતે એ પાત્ર નથી ભજવતો પણ કાગળ ઉપર લખતી વેળાએ તેને એ પાત્રમાં સમર્પિત જરૂર થવું પડે છે અને ત્યારે જ વાચક વર્ગ એનો સાચો અનુભવ કરી શકે છે.