Bhool chhe ke Nahi ? - 50 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 50

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 50

સીમંત કરવાનો સમય નજીક આવતા મારા મમ્મીએ પૂછાવ્યું હતું કે શું વ્યવહાર કરવાનો હોય. કારણ કે અમારે ત્યાં કોઈ એવા પ્રસંગ આવ્યા ન હતા ને કોઈ એવું સગું પણ ન હતું જે મમ્મીને આ વિશે કોઈ માહિતી આપી શકે. પણ આપણે ત્યાંથી મમ્મીએ પણ કંઈ બરાબર જવાબ આપ્યો ન હતો. હું જ્યારે મારા ઘરે ગઈ ત્યારે મમ્મીએ પૂછયું પણ ખરું કે તને કંઈ કહ્યું કે શું વ્યવહાર કરવાનો હોય તો મેં ના પાડી કે મને કંઈ કહ્યું નથી. પછી મમ્મીએ મામાના ઘરે પૂછાવી જોયું કે સીમંતમાં શું વ્યવહાર કરવાનો હોય અને તે પ્રમાણે પછી બધી તૈયારી કરી. સીમંતની વિધિ પૂરી થયા પછી હું આપણા ઘરે જ હતી. મમ્મી રોજ કોઈ ને કોઈ વસ્તુ તારી પાસે છે કે નહીં એમ પૂછતા પછી એમ કહેતા કે એ તો સીમંતમાં છોકરી ના ઘરેથી આપે એટલે પૂછયું કે તું અમને આપવાનું ભૂલ નથી ગઈ ને ? વગેરે વગેરે. પણ મમ્મી જે પૂછતા એમાંનું કોઈએ મારા ઘરે મમ્મીને કહ્યું જ ન હતું કે આપવું પડે. અને મેં એમને પણ તો પૂછ્યું હતું કે શું વ્યવહાર કરવાનો હોય ત્યારે તો એમણે મને એમ જ કહ્યું હતું કે હવે એ બધું કંઈ કરવાનું ન હોય. ને હવે મારી પાસે રોજ કંઈ ને કંઈ માગતા હતા. હું તો બસ ના પાડી દેતી. બીજું કંઈ કહેતી નહીં. આમ કરતા કરતા મારો પ્રસુતિ નો સમય નજીક આવ્યો. એટલે તમે મને મારા ઘરે મૂકી ગયા. આટલા નવ મહિનામાં એક વાત ખૂબ સારી થઈ હતી કે કોઈ પણ દિવસ મને એવું ન લાગ્યું કે મારી નોકરી નથી. મારી ખૂબ કાળજી કરી. હું મારા ઘરે ગઈ. ત્યારે પણ કહ્યું હતું કે કાળજી રાખજે. મને ખૂબ સારું લાગ્યું હતું. મને એવું લાગ્યું કે કદાચ હું જ વધારે પડતું વિચારતી હતી કે તમે ફક્ત મારી નોકરી જોઈને લગ્ન કર્યા હતા કે તમને લોકોને ફક્ત મારા પૈસા સાથે જ નિસ્બત હતી. આ નવ મહિનામાં મને ખરેખર ખૂબ સારું લાગ્યું હતું. હું મારા ઘરે આવી પછી પણ તમે ને મમ્મી મને રોજ ફોન કરીને મારી કાળજી રાખવાનું સૂચવતા હતા. મારા ઘરે આવ્યા પછી એક દિવસ મેં મમ્મી સાથે વાત કરતાં કરતાં મેં કહ્યું કે જ્યારે પહેલી વખત મારી પ્રેગ્નન્સી ના રિપોર્ટ આવ્યા હતા ત્યારે આપણા ડોકટર એકદમ જ નવાઈથી ઉછળી પડેલા અને એ જે "ઈટ્સ અ મીરેકલ" બોલેલા તે મને હજી સુધી ખબર નથી પડી કે આવું કેમ કહેલું. ત્યારે મમ્મીએ કહ્યું કે એ એટલા માટે કે તારો જ્યારે થાઈરોઈડનો રિપોર્ટ આવેલો ત્યારે જે ડોક્ટરને બતાવેલું એ જ ડોકટર ની દવા જ્યારે  તારા પપ્પા નું  પ્રેશર વધી જાય ત્યારે ચાલતી હોય છે. એટલે પપ્પાનું એમને મળવાનું થયા કરે. અને જ્યારે તને થાઈરોઈડની બિમારીની જાણ થઈ ત્યારે તને નહીં પણ એમણે પપ્પાને કહ્યું હતું કે હવે તમારી દિકરી ક્યારેય મા બની શકશે નહીં. આ બિમારીમાં પ્રેગ્નન્સીની શક્યતા ખૂબ જ ઓછી છે. અને એટલે જ્યારે તારો પેગ્નન્સી રિપોર્ટ પોઝીટીવ આવ્યો ત્યારે એ સૌથી વધારે ખુશી એ ડોકટરને થઈ હતી. કારણ કે એમણે પપ્પાને કહ્યું હતું કે તમે અત્યારે એને કંઈ જ ન કહેશો હું એની દવા થોડી એવી રીતે આપીશ કે એને આગળ જતા કોઈ પણ પ્રોબ્લેમ ન થાય. અને એમણે થોડી દવાથી તારો થાઇરોઇડ કંટ્રોલ કરવાનું કામ કર્યુ હતું જેથી તને પ્રેગ્નન્સી માં કંઈ પ્રોબ્લેમ ન આવે. આ સાંભળીને મને એ દિવસે એવું લાગ્યું કે જાણે મારું આવનાર સંતાન ખરેખર ભગવાનનો એક ચમત્કાર છે. અને ત્યારે મને ખબર પડી કે એમણે કેમ એમ કહેલું કે એ જેની દવા કરવાનું કહે તેની જ દવા કરવી. કારણકે એ ગાયનેકોલોજીસ્ટ આપણા શહેરના ખૂબ જ જાણીતા અને અનુભવી ડોકટર હતા જેથી કરીને મને કે મારા સંતાનને આગળ જતાં કંઈ તકલીફ ન પડે.