આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે પુસ્તકનો મહિમા અને માનવીય મૂલ્યોને વણી લેતી મારી અછાંદસ કાવ્ય રચના આપની સમક્ષ રજૂ કરું છું જેનું શીર્ષક છે
"પુસ્તક એટલે ઘડતર"
શબ્દોના અજવાળા
એ માત્ર કાગળનો થોથો નથી,
એ તો છે ભીતરને જગાડતો જોશ
નિરાશાની ગર્તામાં ડૂબેલા મનને
હળવેકથી પંપાળતો એક અતૂટ વિશ્વાસ!
પુસ્તક એટલે...
માત્ર અક્ષરોની ગોઠવણી નહીં,
પણ સંસ્કારોનું સમર્થ ઘડતર,
અજ્ઞાનના અંધકારને ચીરતી
એક જીવંત અને તેજસ્વી કેળવણી.
આજના ડિજિટલ યુગમાં,
જ્યાં માણસ સ્ક્રીન પાછળ ખોવાયો છે,
ત્યાં પુસ્તક જ એક સાચો મિત્ર છે—
જે નિઃસ્વાર્થ ભાવે વહેંચે છે માત્ર ને માત્ર પ્રેમ,
અને આપે છે એકાંતમાં પણ જીવંત સંગાથ.
ભવિષ્યના ગર્ભમાં જ્યારે હું જોઉં છું,
ત્યારે મને દેખાય છે મશીનોની ભીડ...
પણ યાદ રાખજો,
યંત્ર ક્યારેય સંવેદના નહીં શીખવે!
એ પુસ્તક જ હશે જે નક્કી કરશે—
માણસાઈ અને દાનવ વચ્ચેની ભેદરેખા.
જેના હાથમાં પુસ્તક હશે,
એના હૈયામાં કરુણાનો દીવો હશે.
જે વાંચશે, એ જ વિચારશે,
અને જે વિચારશે, એ જ આ જગતને
ફરીથી *"સ્વયમ્'ભૂ"* માણસ હોવાનો અહેસાસ કરાવશે.
વિશ્વ પુસ્તક દિવસની હાર્દિક શુભેચ્છાઓ! સાથે હું એટલું જરૂર કહીશ કે પુસ્તકો વાંચતા રહો, કારણ કે તે માત્ર જ્ઞાન જ નથી આપતા, પણ આપણને વધુ સારા માણસ બનાવે છે. નમસ્કાર અસ્તુ.!
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"