એ ગીત.....
એ દિવસે હું મારા પોતાના સગા વર સાથે દ્રશ્યમ ફિલ્મ જોઈને થિયેટરની બહાર નીકળતી હતી ત્યારે મારા એક પાડોશી અમારી સામે દ્રશ્યમાન થયા.
તેઓ બોલ્યા," કેમ અહીંયા! ફિલ્મ જોવા આવેલા?"
ત્યારે મને કહેવાનું મન થયું," ના.. ના દવાખાને દવા લેવા આવ્યા હતા. ત્રણ કલાકથી લાઇનમાં બેઠેલા!"
મોહિતે કહ્યું, " હા! જો ફિલ્મ જોવા આવેલા, તમે અહીંયા ક્યાંથી?"
એ બોલ્યા," આ છોકરાવને કેટલા દિવસોથી ફિલ્મ જોવી હતી એટલે ફિલ્મ જોવા આવેલા! તમારા બાળકો દેખાતા નથી.?"
હું બોલી ," એ બંને મામાના ઘરે રહેવા ગયા છે એટલે અમે આજે અહીંયા આવી ગયા."
"ઓહો.. હો હો..! લે બંને એકલા એકલા મજા કરી આવ્યા ને કઈ! જલસા છે, બાકી! અંગરેજી ફિલ્મમાં ના ગયા?" મનીષ ભાઈ મલકાતા બોલ્યા. એમની વાતનો ગૂઢાર્થ મોહિત સમજી ગયો!
એ બોલ્યો," બાળકોને 'સસ્પેન્સ' ફિલ્મ ગમે નહીં એટલે અમે આજે જોઈ લીધી."
એમની પત્ની બોલી," અમે તો બાળકોને મૂકીને ક્યાંય ના જઈએ. એ લોકો ફિલ્મ જોવા જેવડા! આપણે એકલા નીકળી પડ્યે એવું અમને સારું ના લાગે."
એમના એ વાકયથી મારા ચહેરા પર આવેલ હાસ્ય ગાયબ થઈ ગયું. અમે માતા પિતા તરીકે કેટલા ક્રૂર છીએ એવો અહેસાસ થઈ ગયો! એમના આ શબ્દો એ અમને આપકી અદાલતમાં એક ખરાબ માતા-પિતા સાબિત કરી દીધા!
સાચું કહું, આપણાં સમાજમાં માતા-પિતા બનવું એટલે ગાયના ગળે ઘંટ બાંધવો! જ્યાં જઈએ ત્યાં બાળકોની ગૂંજ એ ઘંટડીનો અવાજ બનીને રણકતી હોવી જ જોઈએ! જો ન વાગે તો એ ગાયને આ સમાજ ડફણા મારીને ગધેડો જાહેર કરી દેતા અચકાતો નથી! મનીષ ભાઈ જેવા લોકો તમને પણ ક્યાંક ને ક્યાંક ભટકાયા જ હશે!!
આવા લોકોને આપણું ક્યાંક જવું ખટકતું હોય. એટલે કહે," દીકરીને ઘરે એકલી મૂકીને મજા કરી આવ્યા! બિચારી કયારથી એકલી હશે ને!" ત્યારે કહેવાનું મન થાય," રોજ અમે ઘરના કામથી કે વ્યવહારિક કામથી બહાર જઈએ છીએ ત્યારે બિચારી એકલી નથી હોતી! આજે અમે અમારા મિત્રો સાથે બહાર ગયા એટલે એ બિચારી થઈ ગઈ !!" તોયે ચૂપ રહીને સાંભળી લેવું પડે!!
આવી રીતે આપકી અદાલતમાં ઊભા રહેવાનું થાય ત્યારે શું કરવું??
મારી થોડીક ટીપ્સ આપું! આવા કેસમાં એટલું સમજી લેવું કે હવે આપણે જો ખુદને નિર્દોષ સાબિત કરવા જઈશું તો કેસ હારી જ જઈશું! એવા ઉધામા કરવા નહીં બલ્કે, પોતાનો દોષ કબૂલ કરી લેવાનો બિન્દાસ બનીને!!
કહેવું," બહુ મજા આવી! સાચે જ આજથી અમે તો નક્કી કરી લીધું કર્યું છે કે મહિને એકાદ વાર બાળકોને મામાના ઘરે મોકલી આપીને મજા કરવા જવાનું જ!”
ક્યારેક પોતાને નિર્દોષ સાબિત કરવા બાળકોને અપરાધી બનાવતા પણ ન અચકાવું, ," અમારા બાળકો તો અમારી સાથે આવે જ નહીં. અમે તો કહી કહીને થાક્યા! તમારા બાળકો બહુ ડાહ્યા હજીયે સાથે આવે છે!"
એ વ્યક્તિ અદાલત નો ચૂકાદો જાહેર કરે એ પહેલાં જ હસતાં હસતાં ત્યાંથી નીકળી જવું! (જરા ફિલ્મી અદામાં, પોતાના સગા વરનો હાથ પકડીને નીકળવું!!) જો જો, બીજીવાર એ વ્યક્તિ તમને અદાલત માં ઊભા રાખશે જ નહીં, એ પાકું!!
પેરેંટીંગ અને પ્રેમ જીવન વચ્ચેની પાતળી ભેદરેખા આપણે જ ખેંચવી રહી! બીજા કાંઈ પણ કહે એની ચિંતા ન કરવી! આખરે આપણું જીવન આપણી મરજી!!
અહીં એક ગીત યાદ કરીને અપરાધ ભાવ દૂર કરી લેવો..
"એશ તું કર યારા એશ તું કર..
દુનિયા જાય તેલ લેને, મોજ તું કર...!!"
શું કહો છો..??
- તની