અભિગમ, અભિનય કે પછી..
હંમેશા આપણે સકારાત્મક અભિગમ રાખીએ એ શક્ય ના બને.. ક્યારેક કોઈ પળ એવી આવી જાય જેમાં આપણે પરિસ્થિતિથી અકળાઈ જઈએ, નાસીપાસ થઈ જઈએ પણ એનો મતલબ એમ નથી કે આપણે નકારાત્મક થઈ ગયા. આખરે આપણે બધા મનુષ્ય છીએ ઈશ્વર નથી કે બધુ જ સહન કરી લઈએ અને ક્યાંક કોઈને ફરિયાદ પણ ના કરીએ. એ કોઈ પછી આપણું અંતરમન હોય, કોઈ વ્યક્તિ હોય, ભગવાન હોય કે બની શકે કે આપણી ફરિયાદ કરવાની કે વ્યક્ત થવાની અલગ રીત હોય જે શબ્દોથી ના હોય.. જેમકે, આપણી જાતને કોઈ એવા કામમાં ડુબાડી દેવી જેમાં આપણે માનસિક કે શારીરિક રીતે થાકી જઈએ કે સાવ જ ફાલતું કામમાં વ્યસ્ત કરી દેવી. આમ તો આ બધા આપણા પ્રયત્નો જ કહેવાય એ પરિસ્થિતિથી દૂર જવાના. માટે તમારી પાસે ક્યારેય કોઈ એવી વ્યક્તિ આવે જે તમને કંઈક કહીને હળવી થવા માંગતી હોય તો એને બોલવા દેજો. એ તમને ફરિયાદ કરે છે એનો મતલબ હંમેશા એ નથી હોતો કે એ નકારત્મક માનસિકતા ધરાવે છે. એ ક્ષણિક ઉભરો પણ હોઈ શકે. તો એની જોડે એ ક્ષણે મોટીવેશનલ સ્પીકર ના બની જઈને ફક્ત એને ઢોળવા દેવું જ જરૂરી હોય છે.
એક વાત હંમેશા યાદ રાખવી કે કોઈ પણ રીતે મજબૂર અને અક્ષમ વ્યક્તિને જોયા જાણ્યા વિના એના જીવનની એ ખામીના લીધે જીવન જીવવાના બોધ ના આપવા.. બની શકે એ વ્યક્તિ ખુદ જ બીજાના જીવન માટે બોધરૂપ હોય એવી જિંદગી જીવતી હોય.
©Shefali Shah
#Positive