નરસિંહ મહેતાના પિતાની તિથિ આવતાં તેમના મોટાભાઈએ કહ્યું કે, પિતાજીની તિથિ છે તો બધી ન્યાત ને જમણવારનું આમંત્રણ આપેલ છે. પરંતું નરસિંહ મહેતાએ કહેલ કે, પિતાજીની તિથિ હું કરીશ. મોટાભાઈએ સમજાવ્યા. પરંતુ નરસિંહ મહેતા ના માન્યા. ન્યાતને તો બોલવા માટે એક મોકો જોઈતો હતો, નરસિંહ મહેતા ભીખારી છે. તે શું જમણવાર કરશે?. નરસિંહ મહેતા ઘરે તેમની પત્નીને નાત જમવા આવે છે એમ કહીને ઘી લેવા ગયા.
નરસિંહ મહેતા ઘી લેવા ગયા. પરંતુ ગામમાં કોઈ ઘી આપ્યું નહીં. એક દુકાનદારે કહ્યું ઘી તો આપું પરંતુ તમે કૃષ્ણભજન સંભળાવો તો જ. નરસિંહ મહેતાને તો જે જોઈતું હતું તે મળી ગયું. નરસિંહ મહેતાએ કૃષ્ણભજન ગાવાનું ચાલુ કરી દીધું. સંભાળનાર અને ગાનાર બન્ને ભાન ભૂલીને તલ્લીન થઈ ગયા. આમને આમ સાંજ પડી ગઈ. સાંજે દુકાન વધાવવાના સમયે નરસિંહ મહેતાને દુકાનદારે ઘીની બરણી ભરી આપી.
નરસિંહ મહેતાને ઘરે બપોરે પુરી નાગરી નાત બપોરે ભોજન લેવા પહોચી ગઈ. તેમના મોટાભાઈ મનમાં દુઃખી થતા હતા. પુરી નાગરીનાતમાં નાક કપાવશે નરસયો ખાવા ઘરમાં ધાન નથી ને તિથિ કરવા નીકળ્યો છે. પુરી નાત અને મોટાભાઈ આવ્યા તો નરસિંહ મહેતા દરેકને ઘી લચપચતા લાડુ પીરસી રહ્યા હતા. મન મુકીને આગ્રહ કરીને જમાડી રહ્યા હતા. ભોજન બાદ દરેકને એક એક અશરફી દાનમાં આપતા હતા. પુરી નાગરીનાત અને નરસિંહ મહેતાના મોટોભાઈ મોમાં આગળા નાંખી ગયાં.
સાંજે દિવસ ઢળતા નરસિંહ મહેતા ઘીની બરણી સાથે ઘરે આવ્યા. તેમના પત્ની ભગવાનને ભોગ ધરાવીને જમવા બેઠા હતાં. નરસિંહ મહેતા બોલ્યા :, બાપુજીની તિથિ હોવાથી ગયો હતો તો ઘી લેવા પણ કોઈ આપવા રાજી ન હતું. એક વેપારી આપવા રાજી તો થયો પણ મારા હરીભજન સાંભળીને આપવા કહ્યું. હરીભજનમાં સાંજ થઈ ગઈ ખબર ના રહી. આ લે ઘી નાતને જમાડવી પડશે ને?
નરસિંહ મહેતાના પત્ની ઘી બરણી હાથમાં લેતાં બોલ્યાં : તમે તમારા હાથે જ તો બપોરે પુરી નાતને જમાડીને અને દાનમાં એક-એક અશરફી આપી. ભુલી ગયા?...
આટલું સાંભળી નરસિંહ મહેતા ભીની આંખે બોલ્યા :સુશીલા, મારો હજાર હાથ વાળો આવીને મારી ફરજ પુરી કરી ગયો. હું તો હજુ ઘી લઈને આવ્યો છું. મારા હરિ તારી લીલા તો તું જાણે...
ઉપરોક્ત સત્ય હકિકત વાંચીને એટલો ખ્યાલ આવ્યો કે, ભગવાન ભગતના પ્રેમરૂપી વશમાં છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન હાજર જ છે. પોતાના ભક્તના દરેક કામ કરવા ભગવાન હંમેશા તત્પર રહે છે. આજ નરસિંહ મહેતાની ૬૧૫મી જન્મ જયંતિ નિમિતે એક નાના પ્રંસગ રૂપે તેની યાદ...
જય શ્રી રાધે કૃષ્ણ