જે પરિવારમાં પુત્રવધૂને દીકરી તરીકે જ સ્વીકારવામાં આવી છે તે છતાં ઘણીવાર તે સ્ત્રી દીકરી જેમ નથી રહી શકતી...
કોઇ બંધન - કોઇ ડરમાં જીવી રહી હોય એવું લાગે છે.
એ જ સ્ત્રી પિયરમાં જાય તો એકદમ સ્વતંત્રતાથી, મુક્ત મને, આનંદથી સમય પસાર કરતી હોય છે..
આવું કેમ ???
દીકરી સાસરે આવે તો એ એક પત્નિ બને છે, સાસરિયું એનું પોતાનું ઘર છે - સાચું ઘર કે જેની પ્રત્યે તેની પોતાની જવાબદારી છે.
એને સાચવવું, એને પ્રેમ અને લાગણીથી હર્યું-ભર્યું રાખવું, ઘરનાં બધાં સભ્યોને ખુશ રાખવા ને પોતે પણ ખુશ રહેવું. પોતાનું અને
પોતાના પરિવારનું સમાજમાં સારું માન-સમ્માન જળવાય એ માટે આ એની ફરજ બને છે.
જેમ જન્મદાતા મા-બાપ લાડ-કોડ કરે
એમ સાસુ-સસરા ન કરી શકે, કેમ કે જન્મદાતા માટે એ હંમેશા દીકરી જ રહે છે જ્યારે સાસુ-સસરા માટે એ ઘરની જવાબદારી ઉપાડનાર દીકરી-પુત્રવધૂ છે.
આ માટે બંનેએ થોડી મર્યાદામાં રહી પોતાનો સંબંધ નિભાવવાનો હોય છે.
દરેક મા-બાપને એવું લાગતું હોય છે કે પોતાની દીકરી સાસરે વહેલી ઊઠી ઘરનું કામ-કાજ કરે, બધાંનું ધ્યાન રાખે, એથી થાકી જતી હશે.
માટે તે પોતાની દીકરીને ઘરે થોડાં દિવસ રોકાવા આવવાનું કહે છે અને આવે ત્યારે સવારે સૂવા દેવી, શક્ય એટલું ઓછું કામ કરવા દેવું
વગેરે બાબતોનું ધ્યાન રાખે છે.
આ પરિસ્થિતિ તેના માનસ પર અસર કરે છે અને તેને સાસરા અને પિયર વચ્ચે ભેદભાવ લાગે છે.
સ્ત્રીનું સ્થાન હંમેશા સમાજમાં મહત્વનું રહ્યું છે કેમ કે એણે અલગ-અલગ બે પરિવારો વચ્ચે રહી ઘણી ભૂમિકાઓ નિભાવવાની હોય છે.
કુટુંબ સંસાર ચલાવવો એ રાજ્ય કે દેશનું શાસન ચલાવવા જેટલું જ અઘરું અને કપરું કાર્ય છે...
તે ચલાવનારી ગૃહિણીનું કામ રાજ્ય ચલાવનાર પ્રધાન ના જેવું ગહન, અટપટું અને દીર્ધદ્રષ્ટિ માગી લેતું કાર્ય છે.
સ્વાર્થત્યાગ, સહનશીલતા, ધીરજ, ઉદ્યોગ અને વ્યવહારકુશળતા યુકત સેવ્ય અને સેવકબુદ્ધિ જો ગૃહિણીમાં ના હોય તો ઘર શી રીતે ચાલે ?
બંગલામાં 'ઘર'ના હોય, પરંતુ ઝુંપડીમાં 'ઘર' હોય તેમ બને !
'ઘર'ને મકાનના કદ સાથે બિલકુલ સંબંધ નથી..
પત્ની જો ગુણસંપન્ન, તો પછી દારિદ્રય ક્યાં છે ?
અને એનામાં જો સામર્થ્ય ન હોય તો વૈભવ ક્યાં છે ?
ફક્ત 'રૃપસુંદરી' થી નહિ પણ 'ગુણસુંદરી' થી ઘરસંસાર ટકે છે
બધી જ 'સુંદરી'ઓ સારી જીવનસંગિની નથી હોતી..
સુંદરતાથી પણ વધારે તો સમજશક્તિ જરૃરી હોય છે.
ઘરના બધા સભ્યોનું મન જીતવા ચહેરો રૃપાળો હોયએ જ જરૃરી નથી પરંતુ વર્તન સારું હોવું જોઈએ.
પ્રેમ, આદર અને લાગણીભર્યાં શબ્દોથી જ ઘર ના લોકોનાં મન જીતી શકાય છે.
આવો વ્યવહાર ઘરના લોકોની સાથે સાથે પતિની સાથે પણ એટલો જ જરૂરી બને છે.
બધી સુંદર સ્ત્રીઓ લાપરવાહ પણ નથી હોતી, પરંતુ સુંદરતા પર ઘમંડ કરવાના બદલે અંદરના ગુણોને પણ બહાર લાવવા એટલા જ જરૂરી છે...