નહીં મંદિર,નહીં મસ્જિદ,ન ગિરજાઘરને ફંફોળી,
હવાએ ત્યાં જવા માટે અલગ રીતો નથી શોધી.
લખે રઘુવીર જો અલ્લાહ,અબ્દુલ રામ લખતો'તો,
બધાં માટે લખી ના હોય જાણે 'એકતા પોથી!'
હવે સારાં વિચારોનું કતલખાનું ન જોઈએ,
યુ.પી જેવા નિયમને લાદવા મન છો બને 'યોગી'.
અરે વરસાદ પણ ત્રાંસો પડે તોફાન આવે તો,
હવે સમજાયું 'મા'સીધા જવાબો કેમ ના બોલી!
વધારેમાં વધારે શું કરે ગુસ્સો કરીને 'મા',
રડી લેશે ને માથે હાથ ફેરવશે પછી ભોળી.
તમારે પ્રાર્થના કરવી જ છે તો આટલી કરજો,
જગતની પ્રાર્થનાની રાહ ના જોવી પડે કો'દી
રક્ષા શાહ