સમાજ ક્ષણ, દિવસ, મહિના કે વર્ષ માટે અપરિણીત કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને નહિ સ્વીકારે પણ છૂટાછેડા લઈને અથવા અવિવાહિત રહીને એને જિંદગી જીવવાનો હક્ક ઓછો નથી થઈ જતો.એને પણ સ્વતંત્રપણે જીવવાનો એટલો જ અધિકાર છે જેટલો કે આ સમાજને છે. અવિવાહિત સ્ત્રીઓ માટે સમાજ ભલે ગમે તે કહે અને આક્ષેપો કરે એ બધું હંગામી છે એક સમય પછી સમાજ પાસે બીજી વ્યક્તિ તૈયાર જ હશે જેના વિશે તે બોલી શકે. લગ્ન પછી સંસ્કારોના નામે ત્રાસ, પીડા કે શોષણ સહન કરવું એવો ક્યાંય નિયમ નથી. સમાજ ખાલી આપણું લગ્ન જીવન વ્યવસ્થિત નહિ પસાર થતું હોય તો આપણને સમજાવી શકશે,સમસલાહ કરી શકશે પણ આપણી પર થતા અત્યાચાર કે શોષણ તે નહિ લઈ શકે. અપરિણીત રહેતા લોકો પર સમાજ દ્વારા ચારિત્ર્ય પર આંગળી ઉઠી શકે પણ શું તેમણે ક્યારેય પોતાના ચારિત્ર્ય વિશે વિચાર્યું છે? આયેશાની વાત ફેલાઈ જતા સૌ કોઇ પોતપોતાનો અભિપ્રાય ને મંતવ્ય આપવા લાગ્યા, પણ કોઈ આયેશા આપણા જ સમાજની હોત તો શું ત્યારે પણ આપણું આ જ વલણ રહ્યું હોત? આયશા જેટલા કિસ્સા કેટલાંય બનતા હશે જેની આપણને કદાચ ખબર પણ નહીં હોય. છૂટાછેડા લીધા પછી સમાજમાં નીચા જોવું પડે એવી બાબત જ નથી. નીચા તો તેમને જોવું પડે જેમને દહેજ જેવી બીજી કોઈ લાલચ હોય. બાકી હવેનાં સમયમાં દિકરીઓ ક્યાંય સામેથી કોઈના હાથ થામવા નથી જતી અને જો વાત પ્રેમ થયાની હશે તો પ્રેમ બંને તરફથી થયો હશે. કોઈ એકના પ્રેમ થવાથી તે પ્રેમ લગ્નમાં તબદીલ નથી થતા તેને પ્રેમ લગ્નનું બિરૂદ મેળવવા બંનેને પ્રેમ થવો અનિવાર્ય છે.
મૈત્રી બારભૈયા