બાપ અને બાપ્પામાં ઝાઝો ફરક નથી હોતો
આવું તે જ્યારથી મૂર્તિઓ ઘડતો થયો છે
ત્યારથી તેને સમજાઈ ગયું છે.
મૂર્તિઓનું ફિનિશિંગ કરીને
તે જ્યારે બાપ્પાના હાથમાં માટીના લાડુ ગોઠવતો હોય છે
ત્યારે તેની દીકરી
તેની સામે જોયા કરે છે.
દીકરીના મોઢામાં આવી ગયેલું પાણી
તેની આંખો સુધી ધસી આવે છે
અને તે ભીની આંખે બાપ્પા સામે જુએ છે
પણ બાપ્પાની આંખો ભીની નથી હોતી.
દર વર્ષે બાપ્પાના હાથમાં માટીનો લાડુ પણ
તે એટલે જ મૂકે છે
કદાચ એ સાચો થઈ જાય તો ?
પણ લાડુ સાચો થતો નથી
એના હાથમાં હોય છે ત્યારે પણ
અને પછી
નદીના પાણીમાં બાપ્પા
અને લાડુ નહીં મળતાં
દીકરીની ભીની થયેલી આંખમાં
એક બાપ વિસર્જિત થઈ જાય છે.
-એષા દાદાવાળા