વિશ્વાસ તૂટે છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. ક્યારેય કોઈનો વિશ્વાસ તોડવો નહીં. કોઈને એક વાર કોઈ કામ કરી આપવાનું વચન આપીએ એટલે એ વ્યક્તિ આપણાં પર વિશ્વાસ મૂકે છે. વચન ન પાળીને આપણે એનાં આપણાં પરનાં વિશ્વાસનો ભંગ કરીએ છીએ.
હું તો સૌથી વધુ વિશ્વાસ ભગવાન પર રાખું છું. પ્રયત્ન એ કરું છું કે કોઈનો મારા પરનો વિશ્વાસ ન તૂટે. ભગવાન ક્યારેય મને ખોટાં કામ કરવા ન દેશે એવો મને વિશ્વાસ છે.
તે છતાં પણ મારું તો દ્રઢપણે માનવું છે કે જેને પોતાનાં પર જ વિશ્વાસ નથી તે ન તો કોઈનાં પર વિશ્વાસ મૂકી શકે છે કે ન તો કોઈનાં વિશ્વાસને પાત્ર બની શકે છે.
જો પોતાનાં બાળકોને વિશ્વાસમાં લેવા હોય તો પહેલાં એનો વિશ્વાસ જીતવો પડે છે. બાળકોને એક વાર ક્યાંક ફરવા જવાનું કે કોઈ વસ્તુ લાવી આપવાનું વચન આપીએ તો એને પૂર્ણ કરવું જ જોઈએ નહીં તો એનો માતા પિતા પરથી જ વિશ્વાસ ઊઠી જશે. એ ક્યારેય એમની કોઈ પણ વાત પર ભરોસો કરશે નહીં.
કોઈનાં વિશ્વાસને લાયક બનવું એ જીવનની સૌથી મોટી સિદ્ધિ છે.
#વિશ્વાસ