આમ તો ઘર એક મંદિર કહેવાય છે, પણ કેટલાંનાં નસીબમાં આ મંદિર છે? જેની પાસે ઘર જ નથી મારે એમની વાત નથી કરવી. જેની પાસે ઘર છે એમાંના કેટલા મંદિરની કક્ષાએ પહોંચી શક્યા? કેટલાં બધાં ઘર મંદિર બનવાની જગ્યાએ માત્ર મકાન બનીને રહી ગયાં છે. મંદિરમાં તો ભક્તિભાવ હોય, પ્રેમભાવ હોય જે આજે લોકોમાં ખૂબ જ ઓછો થઈ ગયો છે. બહારનાં લોકો સાથે તો હંમેશા સ્પર્ધા જ કરતાં હોય છે, પરંતુ હવે તો ઘરનાં લોકો પણ એકબીજા સાથે સ્પર્ધા કરતાં થઈ ગયા છે. બે ભાઈઓ એકબીજા સાથે સ્પર્ધામાં ઉતર્યા છે, કોણ વધુ કમાય છે તેની સરખામણી થવા લાગી છે. ઘરની સ્ત્રીઓ પોતાનો પતિ વધારે કમાય છે તેનો રોફ જમાવે છે, જેને પરિણામે સંબંધો તૂટવા માંડ્યા છે, કુટુંબો વિભક્ત થવા લાગ્યા છે. આવા સંજોગોમાં મંદિર સમાન ઘરમાં પણ જતા માણસ અચકાય છે. ઘર એ મંદિરને બદલે બીજાને પોતાની સમૃદ્ધિ બતાવવાનું માધ્યમ બની ગયું છે. મોટા મોટા ઘર થઈ ગયા છે અને ખૂબ જ નાનાં મન. ઘરમાં એક ખૂબ જ આકર્ષક મંદિર બનાવ્યું હોય છે જેમાં વહેલી સવારે જો કોઈ વડીલ મોટા અવાજે ભજન ચાલુ કરે તો બધાંની ઊંઘ બગડી જાય છે અને એ જ લોકો બહારનાં મંદિરમાં જઈને દાન કરી ફોટા પડાવે છે.
જે ઘરનાં લોકો ઘરને જ મંદિર અને માતા પિતાને ભગવાનની સમક્ષ પૂજે છે તેઓ આખી જિંદગી મંદિરનું પગથિયું ન ચઢે તો પણ તેમની ભક્તિ ભગવાન માન્ય રાખે છે.
#મંદિર