ઝગડો કરવો એ યોગ્ય તો નથી જ એવું બધાં જ સમજે છે, તે છતાં પણ કેટલાંયે લોકો એવા છે કે જે વાતવાતમાં બીજા સાથે ઝગડો કરતાં હોય છે. પોતે જ સાચા છે અને બીજા ખોટા છે એવું પુરવાર કરવા માટે પણ ઝગડો કરે છે. ક્યારેક તો નજીવી વાતમાં ઊભો થયેલો ઝગડો મારામારી સુધી પહોંચી જાય છે. તો આ ઝગડો કરીને અંતે તો હતા ત્યાંના ત્યાં જ રહ્યા.
દરેક વખતે સમસ્યાનો કે ગેરસમજનો ઉકેલ ઝગડાથી જ આવે એ જરુરી નથી. ક્યારેક થોડું જતું કરવાથી પણ ઝગડો પતી જતો હોય છે. ઝગડો કરવો જ હોય તો બાળકની જેમ કરો. એકદમ મીઠો ઝગડો, જે થોડા સમય પછી એને યાદ પણ નથી હોતો. જેની સાથે ઝગડો કર્યો હોય એની સાથે જ ફરીથી હસતાં રમતાં જોવા મળે છે.
પતિ પત્ની વચ્ચે ક્યારેક ઝગડો થાય એનો અર્થ એ નથી કે છૂટાછેડા લેવા પડે એ હદ સુધી ઝગડો પહોંચાડી દેવો. એકબીજા સાથે બેસીને પરસ્પર ચર્ચા કરવામાં આવે તો ઘણાં ઝગડાઓ અર્થવિહીન સાબિત થશે. પોતાનાં સહકર્મચારી સાથે થયેલ ઝગડાને બહુ મોટુ સ્વરુપ ન આપવું. એમની સાથે જ કામ કરવાનું છે એ ભૂલવું ન જોઈએ.
અંતે ઝગડો એ માનસિક કે શારિરીક નુકસાન પહોંચાડવા સિવાય કોઈ જ કામમાં આવતો નથી. તેથી શકય હોય તો ઝગડો ઊભો જ ન થાય તેવું વાતાવરણ ઊભું કરવું, અને થઈ જ જાય તો સમાધાનનો રસ્તો ખુલ્લો રાખવો.
#ઝઘડો