પગ ખેંચવા અને લાત મારવી - આજ કાલ લોકોનાં સૌથી વધુ પસંદ કરાયેલા કામો છે. કોઈ વ્યક્તિ સારી રીતે પ્રગતિ કરી રહી હોય કે ખૂબ સારી નામના મેળવી રહી હોય તો કેવી રીતે એને નીચે લાવવી એને માટેની યોજનાઓ ઘડવાની ચાલુ થઈ જાય છે. એ વ્યક્તિએ કોઈનું કંઈ જ બગાડ્યું ન હોય તો પણ એને લાત મારવા માટે એક આખી ફોજ તૈયાર હોય છે, કારણ એટલું જ હોય છે કે એ ઈમાનદારીથી કામ કરે છે જેને લીધે કેટલાંક આળસુ અને કામચોર લોકોએ પણ કામ કરવું પડે છે.
લાત તો પ્રાણીઓ પણ મારે છે, પણ ક્યારેય કોઈ પણ પ્રાણીને પોતાને નુકસાન ન પહોંચાડતા હોય એવાને લાત મારતાં જોયા છે? ક્યારેય નહીં. પ્રાણીઓ હંમેશા એને જ લાત મારે છે જેને જોઈને એમનાં મનમાં ભય પેદા થાય છે અથવા તો કોઈ એને હેરાન કરવાની કોશિશ કરે છે. પણ માનવજાત તો વગર વાંકે જ લાત મારતાં શીખી ગઈ છે. એ પણ માત્ર એટલાં માટે કે પેલી વ્યક્તિ ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી રહી છે, નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કરે છે એટલા માટે તમને એની ઈર્ષા થાય છે.
ખબર નથી બધાને શું મળે છે બીજાને હેરાન કરવામાં? શેનો આનંદ આવે છે? અહીં સ્વામી વિવેકાનંદજીની એક વાત યાદ આવે છે: એક વાર એમને શાળામાં શિક્ષકે એક લીટી દોરી એને નાની કરી બતાવવા કહ્યું. સ્વામીજી એ લીટીને ભૂંસીને નાની કરી શકતા હતા પણ તેમણે એવું ન કર્યું, એને બદલે તેમણે એની જ નીચે એનાથી મોટી એક બીજી લીટી દોરી. શિક્ષકના પૂછવા પર કે તેં આવું કેમ કર્યું એમણે જવાબ આપ્યો હતો બીજાને નીચા કરવા કરતાં પોતે જ એનાથી આગળ ન નીકળીએ?
આ વાત દરેકે સમજવા જેવી છે. કોઈને લાત મારવાનું વિચારવાને બદલે પોતે જ એટલી મહેનત ન કરીએ કે એ વ્યક્તિ આપોઆપ જ આપણાથી નીચો થઈ જાય? એટલી નિષ્ઠા ન રાખીએ કે આપણી સરખામણી પણ એવા નિષ્ઠાવાન લોકો સાથે થવા માંડે? પ્રયત્ન કરી જુઓ સરળ બનવાની, બહુ મુશ્કેલ કામ નથી. થોડો સમય તકલીફ પડશે પણ પછી કાયમ માટે શાંતિ થઈ જશે.
કોઈને લાત મારવાનું વિચારવાને બદલે એનાં જેવા કે એનાથી વધારે સારા થવાનો પ્રયત્ન કરીએ.
#લાત_મારવી