" વિદાય "
દોલતરાય આજે ખૂબ ખુશ હતાં.એની પાછળ નું કારણ દિકરી શિવાંગી ના લગ્ન નું હતું.દોલતરાય અને એમની પત્ની વિભાબેન ને લગ્નનાં બાર વર્ષે પણ સંતાન સુખ પ્રાપ્ત નહોતું થયું. દોલતરાયે તો મન મનાવી લીધું હતું પણ વિભાબેન ની ચિંતા સતાવતી હતી.વિભાબેને એક દિવસ બાળક દત્તક લેવાની વાત કરી અને બંને નજીક ના બાલાશ્રમ માં થી નાનકડી બે મહિના ની બાળકીને વિધિસર લઈ આવ્યા.નામ પણ એનાં જેવુ સુંદર રાખ્યું "શિવાંગી" .બંનેની જીંદગી જાણે ફરી જીવવા લાયક બની ગઈ . એનાં પાંચ વર્ષો બાદ વિભાબેને અણધારી વિદાય લીધી . શિવાંગી હજી પાંચ જ વર્ષની હતી.હવે દોલતરાયે દિકરી ના ઉછેર માં પાછું વળીને જોયું નહિ.મા આને બાપ બંને નો પ્રેમ આપવા માંડ્યો. દોલતરાયે શિવાંગી ની બધી જ ઈચ્છાઓ પૂરી કરી પણ એનાં આ ઘરમાં આગમન નું રહસ્ય અકબંધ રાખ્યું હતું.આજે આ સાત ખોટ ની દિકરી ના લગ્ન એને ગમતાં છોકરાં સાથે હતાં.દોલતરાય ખુશ હતાં પણ શિવાંગી ના અંતર ના ખૂણે પપ્પાને એકલા છોડવા નું દર્દ હતું.લગ્ન ધૂમધામથી લેવાય ગયાં . હવે એ છેલ્લી ઘડી પણ આવી ગઈ જ્યારે શિવાંગી પણ વિદાય થતી હતી. શિવાંગી ભારે હૈયે આંખે આવેલ આંસું ને છુપાવતા પિતા ને શિખામણ આપતી હતી ત્યાં જ કોઈના કડવાં બોલ સાંભળ્યાં " અલી ચંપા, જમાનો કેવો બદલાઈ ગયો છે એક દત્તક બાળકી ના લગ્ન માં આટલો ઠાઠ .....?" અને શિવાંગીને એ બોલ ના શૂળ જાણે હ્રદયે લાગી ગયા . એ પ્રશ્નાર્થ નજરે દોલતરાય સામે જોઈ રહી.દોલતરાયે અત્યાર સુધી સાચવેલુ મન આજે શિવાંગી ની વિદાય થી વધુ ભાંગી ગયું.
મનસ્વી નાયક (મન)