ચિદાનંદ રૂપં શિવોહમ્ શિવોહમ્...
"નિર્વાણ અષ્ટકમ્" માં શિવોહમ શિવોહમ એવું કહેવાય છે. જેનો અર્થ થાય છે કે, "હું શિવ છું", ચિદાનંદ એટલે "ચિત્ત વત્તા આનંદ". શરીરના આનંદમાં રહીને માણસ આત્માના આનંદને વિસરી ચૂક્યો છે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે એમ, શિવ અને જીવ એક જ છે. શિવમાંથી જ જીવ છૂટો પડે છે અને અંતે એ જીવ ફરી શિવમાં જ વિલિન પામે છે. શિવનો અર્થ કલ્યાણ થાય છે. શિવનો અર્થ જો કલ્યાણ થતો હોય તો એ જ અર્થ જીવને પણ લાગુ પડે છે. પ્રાણીમાત્ર માટે કલ્યાણકારી મંગલ કામના કરવી એ જ જીવમાત્રનો આ સ્વભાવ છે. અને જો આ જ સ્વભાવ હોય તો દુનિયા એથી વિપરીત કેમ જઈ રહી છે?? લોભ-લાલચ, વગેરેથી માણસ ભર્યો પડ્યો છે. શિવને કોઈ જ લોભ કે લાલચ
ની જરૂર નથી. એ તો ભાવનો ભૂખ્યો છે. આપણે શિવને દૂધ અને પાણી અર્પણ કરીએ છીએ. એ આપણી ભક્તિ કરવાની એક રીત છે. અને હું આપણી સંસ્કૃતિ પ્રમાણે જ ભગવાનની ભક્તિ કરવામાં માનું પણ છું. તમે એક લોટો ભરીને દૂધ ચઢાવો કે એક ટીપું એતો ભોળોનાથ છે, પ્રસન્ન થયા વિના રહેશે નહીં. પરંતુ એ એક લોટો ભરેલું દૂધ કોઇ ગરીબના પેટમાં જશે તો સાક્ષાત શિવ ના દર્શન થશે. એથી હું અંગતપણે, બ્રાહ્મણ હોવા છતાં શિવના અભિષેક માટે લોટો ભરેલું દૂધ શિવના મસ્તકે થોડું ચઢાવી કોઈ ભૂખ્યા ના પેટમાંએ દૂધાભિષેક કરવાનું વધુ પસંદ કરીશ.
મે કસેક વાંચ્યું છે કે, "અહંકાર" અને "ઓમકાર" બંનેને એક સાથે રાખી શકાતા નથી. આપણી સંસ્કૃતિ ઓમકારની સંસ્કૃતિ છે. આપણા સાધુ-સંતો-મહંતો આપણને ઓમકાર તરફ દોરી જવાના માર્ગો ચીંધતા રહે છે. સત્યમ- શિવમ- સુન્દરમના પાયા પર ઊભેલી પ્રાચીન જીવનશૈલીને નેવે મૂકીને આજનો માણસ સુખ શાંતિને પૈસામાં, આ ભૌતિકતામાં શોધી રહ્યો છે. પછી એનું ચિત સતમાં લાગે? અને એને આનંદ ક્યાંથી મળે? આપણી સચ્ચિદાનંદની પ્રાચીન પ્રણાલી વિસરાઈ ગઈ છે. આપણા અધ્યાત્મમાં તપ અને સત્સંગને મહત્વ આપવામાં આવ્યું છે જે જીવને શિવ સાથે જોડવામાં મદદરૂપ થાય છે. તપ એટલે જીવનમાં ન સમજાય અથવા તો જે પરિસ્થિતિનું નિરાકરણ જલ્દી ન આવી શકે એવી પરિસ્થિતિ ને સહન કરવાની સમજ, જે પરિસ્થિતિ આવે તેને હસતે મુખે સહન કરવાની હર હંમેશની તૈયારી, કોઈપણ પરિસ્થિતિનો સ્વીકાર. મારા મતે તો આજ તપ છે. મોરારીબાપુની કથામાં મેં સાંભળ્યું હતું કે, આ દુનિયામાં બીજું કોઈ ઝેર નથી જીવનમાં આવતી વિષમ પરિસ્થિતિ એ જ વિષ. પરંતુ આ વિષને શ્રદ્ધાથી પીવામાં આવે તો તે અમી બની જતું હોય છે. શિવ એટલે આપણને જડમાંથી ચૈતન્ય, જન માંથી સજ્જન બનતા શીખવતું તત્વ. જીવનું એટલું ગજું નથી કે શિવ બની શકે. પરંતુ અસમર્થ લાગતું કામ, અસ્તિત્વનો સ્વીકાર અને એનો આનંદ ભોગવવો એ જ સમાધિ છે. તેથી જ મનુષ્યે હંમેશા "ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ" નો મંત્રોચ્ચાર કરી શિવનો પૂર્ણપણે સ્વીકાર કરી પોતાના જીવને શિવ એટલે કે કલ્યાણકારી માર્ગ પર ટકાવી રાખવું એજ શિવ ભક્તિ.
કિંજલ દિપેશ પંડ્યા (કુંજદીપ)