દરેક સંબંધોમાં સંતુલન જાળવવું ખૂબ જ જરુરી છે. પરંતુ ક્યારેક માનવી થાકી જાય છે, બધાની ઈચ્છા પૂરી કરતા, બધાને મનાવતા, ચુપ રહેતા, જતું કરતા, દુઃખ સહન કરતા, ધીરજ રાખતા. અને પછી શરૂઆત થાય છે અસંતુલનની. ક્યારેક આર્થિક રીતે સંતુલન ખોરવાય છે તો ક્યારેક માનસિક રીતે. જો બે જણા વચ્ચે પરસ્પર સુમેળ હશે તો માનસિક કે આર્થિક સ્થિતિની સંબંધોના સંતુલન પર ક્યારેય અસર નહીં થાય. આ જ બાબત મિત્રો વચ્ચેના સંબંધોનાં સંતુલન પર પણ લાગુ પડે છે. બે મિત્રો જો એકબીજાને ખૂબ જ સારી રીતે સમજતા હશે તો દુઃખના સમયે એકબીજાની પડખે ઊભા હશે. આ તો થઈ સંબંધોના સંતુલનની વાત.
ક્યારેક કુદરત સાથેના સંતુલન પર પણ ધ્યાન આપવું જોઈએ. જે રીતે જંગલોનો વિસ્તાર ઘટીને માનવ વસાહતો વધતી જાય છે, ક્યાંક ભવિષ્યમાં આવનારી પેઢી માટે મોટું નુકસાન ન ઊભું કરે! વસ્તી વધતાં રહેઠાણની જરૂર ઊભી થાય પણ એને માટે અન્ય વિકલ્પ પણ શોધી શકાય. પ્રકૃતિનું જતન કરી એનું સંતુલન રાખવાની જવાબદારી સહુ કોઈની છે. જંગલોનાં વિનાશને કારણે કેટલાયે પ્રાણીઓની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. આ બાબત પણ કુદરતી સંતુલન પર અસર કરે છે. આપણી જરૂરિયાતો અને તેને અનુરૂપ વસ્તુઓમાં જો સંતુલન હશે ને તો કુદરતના સંતુલનને બગાડવાની જરુર નહીં પડે.
આખરે તો જીંદગી એ તમામ ક્ષેત્રે સંતુલન સાધવાની કળા જ છે, જેને આવડી ગઈ એ જીતી ગયા, એ જિંદગીને ભરપૂર રીતે માણશે.
#સંતુલન