મંદબુધ્ધિ, એટલે બુધ્ધિનો ધીમો વિકાસ. સામાન્ય રીતે જોઇએ તો જે વ્યક્તિનો તેમની ઉંમર વધતાની સાથે-સાથે બુધ્ધિનો વિકાસ થતો ન હોય તેને આપણે મંદબુધ્ધિ કહીએ. પરંતુ હકિકતમાં મંદબુધ્ધિનો અર્થ બહુ વિશાળ છે.
જે વ્યક્તિના મગજનો વિકાસ તેની ઉંમર પ્રમાણે પૂરતો થયો હોય પરંતું જીવનની અમુક ઘટનાઓના કારણે તેના માનસપટલ પર તેવી ઘટનાઓની ખરાબ અસર થઇ હોય તેવી વ્યક્તિ ખરાબ સંજોગોના કારણે પોતાની માનસિક સ્થિરતા ખોઇ બેસે છે. તે પણ મંદબુધ્ધિ કહેવાય.
જે વ્યક્તિ પોતાના ધંધા, વ્યવસાય, નોકરી, કારકિર્દીમાં નાસીપાસ થયો હોય અને તેની અસર તેના વિચારો, તેના વર્તન, તેના સ્વભાવ, તેની ચાલચલગત પર પડે તો તેવી વ્યક્તિ પણ તેટલા સમય પૂરતો મંદબુધ્ધિ કહેવાય.
જે વ્યક્તિ પ્રેમમાં અથવા પ્રેમ પાછળ પોતાની માનસિક સમતુલા ખોઇ બેસે તેવી વ્યક્તિ પણ મંદબુધ્ધિ કહેવાય. આત્મહત્યા કરવા પાછળનું જે કોઇ કારણ હોય, પરંતું તે વ્યક્તિ જે-તે પરિસ્થિતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અથવા જે-તે પરિસ્થિતિનો સામનો કરવા માનસિક રીતે તૈયાર ન હોય. તેવી વ્યક્તિ જીવનમાં એટલો બધો કંટાળી ગયો હોય, તેનું મગજ કામ કરતું જાણે બંધ જ થઇ ગયું હોય અને તેને એક જ રસ્તો દેખાતો હોય, “જીવન ટૂંકાવવાનો” એવી વ્યક્તિ પણ તેટલા સમય પૂરતો મંદબુધ્ધિ ધરાવતો વ્યક્તિ કહેવાય.
“મંદબુધ્ધિ” વાળી વ્યક્તિને આપણો સમાજ પાગલ, ગાંડો, ગાંડપણ, વિગેરે જેવા શબ્દોથી ઓળખે છે અને તેવું કહીને તેનો મજાક ઉડાડે છે. અને તેમાં તેને એક પ્રકારનો આનંદ પણ આવે છે. જો કોઇ મંદબુધ્ધિવાળી વ્યક્તિને આવા ઉચ્ચારણો કરી બોલાવવાથી જે-તે વ્યક્તિને આનંદ આવતો હોય તો તે વ્યક્તિ પણ એક રીતે મંદબુધ્ધિવાળી વ્યક્તિ જ કહેવાય કારણ કે જે વ્યક્તિની બુધ્ધિનો વિકાસ તમારાથી ઓછો છે. જે વ્યક્તિ લાગણીની ભૂખી છે જે વ્યક્તિને તેના કપરા કાળમાં તમારી દયા અને ટેકાની જરૂર છે તેની મજાક ઉડાડવાથી તમને આનંદ આવે છે. તો તમારા કરતા દયામણો અને મંદબુધ્ધિ ધરાવતો વ્યક્તિ બીજો કોઇ જ નથી.
મંદબુધ્ધિવાળી વ્યક્તિ કોઇ હાદસા અથવા કોઇ બિમારીના કારણે જે-તે સમયમાં તેમની વિચાર શક્તિનો વિકાસ અટકી ગયો હોય. તે આજના જમાનામાં નહી પરંતું ભૂતકાળની કોઇ ક્ષણમાં અટવાઇ ગઇ હોય. તેવી વ્યક્તિઓનું બિહેવીયર સહજ નાના બાળક જેવું હોય, તમારી લાગણી ઝંખતું હોય, પોતાની શારિરીક, માનસિક અને સામાજીક ધુત્કારની પિડાથી ઝઝુમતું હોય, કોઇ એવા વ્યક્તિના સાથની અપેક્ષા રાખતું હોય જેના પર તે વિશ્વાસ કરી શકે, તેના પર આધાર રાખી શકે, તેને પોતાનું સ્વજન માની શકે, તેના પર નિર્ભર રહી શકે.
સમાજથી આવી રીતે અલગ તરી આવતી વ્યકેતિ જ આપણને ઘણું શિખવે છે. તેમના પાસેથી શિખવા જેવું એ છે કે તમારી પાસે એ છે જે એમની પાસે નથી, એ તમને પ્રેમ આપતા શિખવે છે, પ્રેમ વહેંચતા શિખવે છે, લાગણીના સંબંધો બાંધતા શિખવે છે, નિરાધારને મદદ કરવાની તમોને તક આપે છે, જરૂરિયાતવાળી વ્યક્તિની સેવા કરવાની તક આપે છે.
હંમેશા યાદ રાખવું, મંદબુધ્ધિવાળી વ્યક્તિની મજાક ઉડાવવાને બદલે કોઇ સહજ મજાક કરી તેમના ચહેરા પર સ્મિત રેલાવવાનું કામ કરો, તેમને બનતી મદદ કરો, તેમને ગેરમાર્ગે જતાં રોકો, તેમને હૂંફ આપો. એવ્યક્તિ લાગણી અને પ્રેમનું ભુખ્યુ છે. એને પૈસાની નહી તમારા સાથ-સહકારની જરૂર છે. એને ધિક્કારો નહી, વહાલથી તમારી સાથે રાખો. ભગવાન પણ ખુશ થશે કે જે વ્યક્તિનો માનસિક વિકાસ મેં અટકાવ્યો છે તે વ્યક્તિનો વિકાસ કરવામાં તમે એમને મદદ કરી રહ્યા છો.
#મંદબુદ્ધિ