”જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે
જહાંના નામની સાથે ફનાનું નામ આવે છે
હું ચિતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે
અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે
પ્રવેશીશું કઈ રીતે જલન દોઝખના કમરમાં
ગુન્હેગારો તરીકે અહીં બધાનું નામ આવે છે.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.”
....જલન માતરી