ભોલેનાથ છે દુ:ખોના હરનાર, બિલિપત્ર સિવાય આ વસ્તુઓ ચડાવવાથી પ્રસન્ન થાય મહાદેવ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિ એક એવો દિવસ છે જે દિવસે ભોળાનાથ તેમની પૂજા કરનારને તમામ પ્રકારના સુખ આપે છે. ભોળાનાથ આમ તો સદૈવ ભક્તોના દુઃખ દૂર કરવા તત્પર રહે છે. તેમની સાચા હૃદયથી પૂજા કરવી જોઈએ. જો કે શાસ્ત્રમાં કહેવાય છે કે કશું આપ્યા વગર કશું મળતું નથી. તેથી ભોળાનાથને વિશેષ પૂજા-અર્ચના થકી કોઈને કોઈ ચીજ અર્પણ કરવામાં આવે છે. તે માત્ર એક લોટો પાણી રેડવાથી પણ પ્રસન્ન થઈ જાય છે. પણ જો તેમને પસંદ હોય તેવી ચીજોથી તેમની પૂજા કરવામાં આવે તો તેનું અવશ્ય વિશેષ શુભ ફળ મળે છે.
ભગવાન શિવની પૂજામાં બિલિપત્રનો ઉપયોગ થાય છે. શિવને બિલિપત્ર પ્રિય છે. તેને અર્પણ કરવાથી ત્રણ જન્મ સુધી શુભ ફળ મળે છે. આમછતાં બિલિપત્ર સિવાય પણ એવી કેટલીક ચીજો છે જે શિવને અતિ પ્રિય છે. શાસ્ત્રોમાં આ વિશે ઉલ્લેખ છે કે તે અર્પણ કરવાથી અલગ અલગ મનોકામના પૂર્ણ થાય છે.
જો તમે સંતાન સુખ ઈચ્છતાં હોય તો શિવલિંગ પર વાંસની તાજી કૂંપણો અર્પિત કરવી જોઈએ. આમ કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. હિંદૂ ધર્મગ્રંથ શિવપુરાણમાં જણાવાયું છે કે આ સિવાય આંકડાના ફૂલ કે પાન ચઢાવવાથી પણ શિવ તરત જ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવને આંકડાના ફૂલ પણ પ્રિય છે.
પરિવારના લાંબા આયુષ્ય માટે શિવજી પર દૂર્વા ચઢાવવી જોઈએ. શાસ્ત્રોનું માનીએ તો દૂર્વામાં અમૃતનો વાસ છે. મહાશિવરાત્રિના દિવસે શિવજીને ભાંગના પાન ચઢાવવાથી પણ તે પ્રસન્ન થાય છે. તેમને ભાંગ અતિ પ્રિય છે. એ સિવાય ભગવાન શંકરને મહાશિવરાત્રિના દિવસે ધતૂરો અર્પિત કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થઈ જાય છે.
એ સિવાય પીપળાના પાન ચઢાવવાથી પણ ભગવાન શિવની પૂજા કરવાનું વિધાન છે. મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં અપામાર્ગના પાન શિવજીને અર્પણ કરવાથી મનુષ્ય ભોગ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે.
ભગવાન શિવને શમીના પાન ચઢાવવાથી પણ જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે. મહાશિવરાત્રિના દિવસે બિલિ ચઢાવવાથી ધન કે આવકમાં આવતી મુશ્કેલીઓ કે લગ્નમાં થતો વિલંબ દૂર થઈ જાય છે.