કોઇપણ પૂજા કરતી વખતે ચોખા કેમ ચડાવવામાં આવે છે? જાણો તેનું ખાસ માહત્મય
હિન્દુ ધર્મમાં પૂજા કે ધાર્મિક કાર્યોમાં અક્ષત એટલે કે ચોખા ચડાવવાની પરંપરા છે. પૂજા કે ધાર્મિક અનુષ્ઠાન હોય અને તે સમયે જો કોઇ સામગ્રીની ઊણપ રહી ગઈ હોય તો પૂજારી જે તે વસ્તુના બદલે ચોખા ચડાવવાનું કહે છે. પણ ચોખા ચડાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેની જાણ ખૂબ ઓછા લોકોને હોય છે. તો આવો પૂજા-વિધિના ઉપયોગમાં લેવાતા ચોખાને ભગવાનને અર્પણ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ? તે વિશે માહિતી મેળવીએ.
– સૌ પહેલાં તો એ કે ભગવાનને ચડાવાતા ચોખા સ્વચ્છ અને ધોયેલા હોવા જોઈએ.
– પૂજા કરતાં પહેલાં એ જરૂર જોઈ લો કે જે ચોખા તમે ભગવાનને અર્પિત કરવા જઈ રહ્યા છો તેના દાણા આખા હોય, ભગવાનને ક્યારેય ખંડિત ચોખા ન ચડાવવા જોઈએ.
– અક્ષત પૂર્ણતાનું પ્રતીક છે, માનવામાં આવે છે કે ઈશ્વરને રોજ માત્ર 4 દાણા ચોખા ચડાવવાથી સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.
– શિવલિંગ પર ચોખા ચડાવતી વખતે શિવજી પ્રસન્ન થાય છે અને અખંડિત ચોખાની જેમ અખંડિત ધન, માન-સન્માન પ્રદાન કરે છે.
– ખંડિત ચોખાથી કરવામાં આવેલી પૂજા ભગવાન સ્વીકારતા નથી. ઘરમાં અન્નપૂર્ણા માતાની પ્રતિમાને ચોખાના ઢગલા પર સ્થાપિત કરવાથી જીવનભર ધન-ધાન્યની અછત રહેતી નથી.
– પૂજા વિધિ કરતી વખતે જ્યારે તમે ભગવાનને ચોખા ચડાવો ત્યારે તેની સાથે એક મંત્રનો ઉચ્ચાર કરો.
अक्षताश्च सुरश्रेष्ठ
कुंकमाक्ता : सुशोभिता:.
मया निवेदिता भक्त्या :
गृहाण परमेश्वर॥
આ મંત્રનો અર્થ થાય છે કે પૂજામાં કંકુના રંગની સુશોભિત આ અક્ષત તમને સર્મિપત છે હે, ઇશ્વર કૃપા કરીને તમે આ અક્ષતનો સ્વીકાર કરો.
– અનાજમાં ચોખાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને દેવાન્ન પણ કહેવાય છે એટલે કે દેવને પ્રિય અન્ન ચોખા છે. પૂજામાં ભગવાનને ચોખા ચડાવવામાં આવે છે સાથે માનવામાં આવે છે કે અમે કરેલું પૂજન અક્ષતની જેમ પૂર્ણ હોય.