ગરૂડ પુરાણ અનુસાર આવા વ્યક્તિને મૃત્યુ સમયે નથી થતી કોઇ પીડા
જન્મ અને મૃત્યુ અટલ સત્ય છે. જન્મ પછી વ્યક્તિના જીવનમાં સમય સાથે અનેક વસ્તુઓ બદલાય છે પરંતુ મૃત્યુનું સત્ય ક્યારેય બદલાતું નથી. જેવી રીતે જન્મને અટકાવી નથી શકાતો તેવી રીતે મૃત્યુને ટાળવું શક્ય નથી. જે સમયે વ્યક્તિની મૃત્યુ નિર્ધારિત હોય છે ત્યારે તે થઈને જ રહે છે, તેનું માધ્યમ કોઈપણ ઘટના બની શકે છે.
દરેક વ્યક્તિનો જીવનકાળ એકના એક દિવસ પૂર્ણ થવાનો જ હોય છે. કેટલાક લોકોનું મૃત્યુ નાની ઉંમરે થાય છે, કેટલાક લાંબુ આયુષ્ય ભોગવે છે, કેટલાક લોકો બીમારીના કારણે મૃત્યુ પામે છે તો કેટલાક અકસ્માતના કારણે મૃત્યુ પામે છે. કેટલાક લોકો મૃત્યુ પહેલાં અસહ્ય પીડા સહન કરે છે, આવી સ્થિતીમાં લોકો તેના જ પ્રિયજનના મૃત્યુ માટે પ્રાર્થના કરે છે. આ પીડા વ્યક્તિએ તેના જ કરેલા કેટલાક કામ અને આદતોના કારણે ભોગવવી પડે છે. ગરૂડ પુરાણમાં આ કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વ્યક્તિને મોતના મુખ સુધી લઈ જાય છે.
મૃત્યુ અને તે સમયની પીડાનો આધાર વ્યક્તિની ઈશ્વર પરની શ્રદ્ધા પર રહેલો હોય છે. ભગવાનના અસ્તિત્વને માનનાર વ્યક્તિનું વર્તન કેવું છે તેનું ખાસ મહત્વ હોય છે. જે લોકો અન્યને છેતરતાં નથી, કોઈને દુ:ખી નથી કરતાં તેઓને ઈશ્વર પોતાના શરણમાં રાખે છે અને તેમને મૃત્યુ સમયે કષ્ટ નથી ભોગવવું પડતું. જ્યારે ભૌતિક દુનિયામાં ફસાયેલા લોકો જ્યારે અન્યને દુ:ખી કરે છે, તેમની લાગણીઓને આહત કરે છે તેમને ઈશ્વરનો દંડ ભોગવવો પડે છે.
જીવનમાં અન્ય માટે જેટલા ક્રૂર વ્યક્તિ બને છે તેટલી જ ક્રૂરતા વ્યક્તિએ મૃત્યુ સમયે ભોગવવી પડે છે. એટલે કે જીવનભર જે તકલીફો આપણા કારણે અન્યને થાય છે તે તમામ મૃત્યુ સમયે ભોગવવી પડે છે. કર્મોનો હિસાબ પૂર્ણ થયા પછી જ વ્યક્તિની આત્મા શરીરને છોડી શકે છે. એટલા માટે જરૂરી છે કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખી અને કોઈને પણ દુ:ખી ન કરીએ.