....#....દેવપોઢી એકાદશી તથા દેવઉઠી એકાદશી....#....
અષાઢ સુદ અગિયારસ એ દેવપોઢી અગિયારસ તરીકે પણ ઓળખાય છે. આ તિથિ હરિશયની કે 'પદ્મનાભ' નામથી પણ પ્રસિદ્ધ છે. હિન્દુ પંચાંગ મુજબ આ દિવસથી ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે. આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે. ભગવાન પોઢી જવાના કારણે આજથી ચાર માસ સુધી શુભ માંગલિક કાર્યો પણ વર્જિત ગણાય છે.
અષાઢ સુદ અગિયારસે ભગવાન શયન કરતા હોવાથી તેને શયની અગિયારસ અથવા દેવપોઢી અગિયારસ પણ કહેવામાં આવે છે જ્યારે કારતક સુદ અગિયારસે ભગવાન જાગતા હોવાથી તેને દેવઉઠી અગિયારસ કહેવામાં આવે છે. આ ચાર મહિના દરમિયાન ભગવાન પોઢી જતા હોવાથી ખાસ કરીને કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. ચાતુર્માસમાં કર્મયોગીઓ તેમનું કૌશલ્ય વિકાસવીને, ધાર્મિક લોકો વ્રત અને પૂજાપાઠ કરી જ્યારે યોગીઓ સાધાના કરીને પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જાય છે.
દેવપોઢી એકાદશી પર કોઈ પણ વિષ્ણુ મંદિરમાં જઈને બંને હાથથી પીળા ફળ ફૂલ ભગવાન વિષ્ણુને અર્પણ કરો.
ભગવાન વિષ્ણુ મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવીને તેમની સામે મનની ઈચ્છા કહો.
કોઈ આસન પર બેસીને ॐ क्लीं कृष्णाय नमः મંત્રનો જાપ 108 વાર કરો.
ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં જે પણ જરૂરિયાતવાળી વ્યક્તિ પહેલા મળે તેને પીળા ફળ કે મીઠાઈ જરૂર આપો.
આખા વર્ષમાં જે 24 એકાદશી હોય છે તેમાં આ એકાદશીનું આગવું મહત્વ છે. કારણ કે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે અને આથી જ તે દેવપોઢી એકાદશી કહેવાય છે. ચાતુર્માસ દરમિયાન હિંડોળા પણ થાય છે.
....#.....દેવઉઠી એકાદશી....#.....
ઉઠી એકાદશી કારતક મહિનાના સુદ પક્ષમાં આવે છે. દેવઉઠી અગિયારસને દિવસે જ ભગવાન વિષ્ણુ ચાર મહિનાની ઊંઘમાંથી જાગે છે. આ દિવસે ચાતુર્માસ પણ પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું ખાસ મહત્વ છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, દેવઉઠી અગિયારસને દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી સુખ સંપત્તિ મળે છે.
આ એકાદશીએ પૂજા-પાઠ અને વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. આ તિથિએ રાત્રે જાગરણ કરવામાં આવે છે. એકાદશી પર ભગવાન વિષ્ણુને ધૂપ, દિવો, નૈવેધ, ફૂલ, ગંધ, ચંદન, ફળ અને અર્ધ્ય અર્પિત કરવામાં આવે છે. ભગવાનની પૂજા કરી ઘંટ, શંખ, મૃદંગ વગેરે વાદ્યો સાથે નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો
उत्तिष्ठोत्तिष्ठ गोविंद त्यज निद्रां जगत्पते।त्वयि सुप्ते जगन्नाथ जगत् सुप्तं भवेदिदम्।।उत्तिष्ठोत्तिष्ठ वाराह दंष्ट्रोद्धृतवसुंधरे।हिरण्याक्षप्राणघातिन् त्रैलोक्ये मंगलं कुरु।।
ત્યારબાદ ભગવાનની આરતી કરો, અને ફૂલ ચઢાવી આ મંત્રથી પ્રાર્થના કરવી.
इयं तु द्वादशी देव प्रबोधाय विनिर्मिता।त्वयैव सर्वलोकानां हितार्थं शेषशायिना।।इदं व्रतं मया देव कृतं प्रीत्यै तव प्रभो।न्यूनं संपूर्णतां यातु त्वत्वप्रसादाज्जनार्दन।।
આ પ્રાર્થના કર્યા બાદ પ્રહલાદ, નારદજી, પરશુરામ, પુન્ડરીક, વ્યાસ, અંબરીષ, શુક, શૌનક અને ભીષ્મ વગેરે ભક્તોનું સ્મરણ કરી ચરણામૃત અને પ્રસાદનું વિતરણ કરવું જોઇએ.
આ જ દિવસથી મંગલિક કાર્યોની પણ શરૂઆત થાય છે. ધર્મગ્રંથો અનુસાર, અષાઢ મહિનાની સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુએ દૈત્ય શંખાસુરને માર્યો હતો.ઘમાસાણ યુદ્ધ બાદ શંખાસુરનું મૃત્યું થયું. આ યુદ્ધથી ભગવાન વિષ્ણુ ખૂબજ થાકી ગયા હતા અને થાક દૂર કરવા માટે ક્ષીરસાગરમાં જઈને સૂઇ ગયા. અહીં તે ચાર મહિના સુધી ઊંઘતા રહ્યા અને કારતક મહિનાની સુદ અગિયારસે જાગ્યા.આ દિવસે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.
શુભસ્તુ...
હર હર મહાદેવ.... હર...
(નોંધ :- જયા પાર્વતી વ્રતકથા / અન્નપૂર્ણા વ્રતકથા / અને દેવપોઢી -દેવઉઠી એકાદશી... આ પોસ્ટ "હરિ(હરિતા)" ના સૌજન્યથી મૂકવામાં આવી છે...)