એક જમાનો હતો જ્યારે પોતાના મનની વાત ગમતી વ્યક્તિને કહેવા માટે બહુ હિંમત કરવી પડતી. જે લોકો બોલીને કહી ન શક્તા, એ લોકો પ્રેમપત્રો લખતા. એવા પણ કેટલાક લોકો હશે જેમણે ભૂતકાળમાં કોઈને પ્રેમપત્રો તો લખ્યા હશે પરંતુ જવાબના ડરને કારણે પોસ્ટ નહીં કરી શક્યા હોય. આપણી અભિવ્યક્તિ સામેવાળી વ્યક્તિને ગમશે કે નહીં, એ વિચાર માત્રથી આપણે અનેકવાર વ્યક્ત થવાનું ચૂકી જતા હોઈએ છીએ.
હવે સમય બદલાયો છે. હવે કોઈપણ ગમતી વ્યક્તિ આપણાથી એક મેસેજ માત્રના અંતરે છે. સારી વાત હોય કે ખરાબ, પ્રેમ હોય કે ગુસ્સો, ફરિયાદ હોય કે રિસામણા. આપણી વાત એમના સુધી પહોંચાડવા માટે હવે વધારે રાહ જોવી નથી પડતી. એના વોટ્સ એપમાં ડીલીવર થયેલા આપણા મેસેજની બે ટીકનો રંગ બ્લ્યુ થાય, બસ હવે એટલી જ રાહ જોવી પડે છે. તેમ છતાં ક્યારેક એટલો સમય પણ આપણા ડરને પોષવા માટે પૂરતો હોય છે અને સામેવાળી વ્યક્તિ મેસેજ વાંચે, એ પહેલા આપણે ડીલીટ કરી નાખતા હોઈએ છીએ.
પછી શું ? સામેવાળાની સ્ક્રીન પર રહી જાય છે એક રહસ્ય કે આપણે તેમને કશુંક કહેવા માંગતા હતા. એ નિસબતનું ચોમાસું હોય કે કુતુહલતાનો પવન પણ આપણી સાથે લાગણીથી જોડાયેલી દરેક વ્યક્તિ આપણને એકવાર તો પૂછે જ છે કે ‘શું ડીલીટ કર્યું ?’. આ ફક્ત એક પ્રશ્ન નથી, આ એક અવસર છે. આવું પૂછીને સામેવાળી વ્યક્તિ આપણને વધુ એક ચાન્સ આપે છે આપણા મનની વાત કહેવાનો. ‘શું ડીલીટ કર્યું ?’ આમ તો એક સંકેત છે કે મારે તમારી એ વાત સાંભળવી છે, જે તમે મને કહી નથી શક્તા. આ પ્રશ્ન એક આમંત્રણ છે કે તમારા મનની વાત તમે કહી શકો છો.
આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં આપણે સહુ કોઈ દંભ કરવાની હરિફાઈમાં ઉતર્યા છીએ. એ આપણી કમનસીબી છે કે હવે આપણે દંભ કરતા પહેલા વિચારવું નથી પડતું. દંભ હવે સાહજીકતા અને સરળતાથી કરી શકાય છે પરંતુ આપણા મનની પ્રમાણિક અને સાચી લાગણીઓ કોઈ સુધી પહોંચાડતા પહેલા આપણે વિચારવું પડે છે. કોઈને સારું લગાડવાની હોડમાં અને આપણી જાતને સારા ચિતરવાની દોડમાં આપણે આપણા મૂળ સ્વભાવથી વિમુખ થતા જઈએ છીએ. આપણા ગમા-અણગમા આપણને સરસ રીતે સંતાડતા આવડી ગયા છે અને કદાચ આ આવડત જ સિવિલાઈઝેશનની સૌથી મોટી જરૂરીયાત છે.
ઈનબોક્સમાં કોઈની માફી માંગવાની હોય કે આપણા પ્રેમની રજૂઆત કરવાની હોય, સત્ય એ છે કે આપણે વ્યક્ત થતા ડરીએ છીએ. અને એ પણ એ જ વ્યક્તિથી જેને આપણે મનની વાત કહેવાને લાયક સમજીએ છીએ. એવા સમયમાં સામેથી પૂછાયેલું ‘શું ડીલીટ કર્યું ?’, આપણને આવકાર આપે છે કે કહી દો તમારા મનની વાત, મને નહીં ખરાબ લાગે. જેમને નિસબત નથી, પરવા નથી, કાળજી નથી એ વ્યક્તિ ક્યારેય નહીં પૂછે કે ‘શું ડીલીટ કર્યું ?’. પણ જ્યારે કોઈ એવું પૂછે છે ત્યારે એવું પૂછીને એ જવાબ આપતી હોય છે કે તમે ડીલીટ કરેલા મેસેજનો મેં સ્વીકાર કરી લીધો છે. ટ્રાય કરી લો, જેમને તમારા પ્રત્યે લાગણી છે, તેઓ ઉત્સુક હશે તમારી વાત સાંભળવા માટે. તેઓ તરત જ પૂછશે કે શું ડીલીટ કર્યું ?